પ્રેમિકાના મંગેતર અને તેના પરિવારજનો તરફથી મળી રહેલી ધમકીથી ગભરાઇ ગયેલા તરસાલી ચંદ્રનગર સોસાયટીના આશાસ્પદ યુવાને સોમવારે સાંજે ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. આપઘાત પૂર્વે યુવાને મામા-મામીને સંબોધીને અંતિમ સુસાઇટ નોટ લખી હતી, જેમાં યુવાને લખ્યું હતું કે, હું મરૂ છું, તો પિંકી(નામ બદલ્યુ છે) પણ જીવતી ન હોવી જોઇએ.
માહિતી પ્રમાણે વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી 115, ચંદ્રનગર સોસાયટીમાં રહેતા વિષ્ણુ ઉર્ફ આકાશ પ્રવિણભાઇ સોલંકી (ઉં.વ.20)એ પોતાના ઘરના બેડરૂમમાં ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. આકાશે આપઘાત પૂર્વે લખેલી સુસાઇટ નોટ મળી આવી છે. જેમાં તેણે તેના મામા-મામીને સંબોધીને લખ્યું છે કે, આજે આત્મહત્યા કરૂ છુ. તેનુ કારણ પિંકી અને નિખિલ જ છે. એટલે આજે મામા તમને જે પણ તકલીફ થાય તો સોરી, સોરી મમ્મી, સોરી પાપા, સોરી પાયલ, સોરી મામી, સોરી મામા, હું મરું છું તો પિંકી પણ જીવતી ન હોવી જોઇએ. આ જવાબદારી તમને દઉ છુ. મામા મારી મમ્મી અને પપ્પાને સાચવજો. બાય....
આકાશને પિંકી સોલંકી નામની યુવતીને પ્રેમ કરતો હતો. દરમિયાન પિંકીની નિખીલ નામના યુવાન સાથે સગાઇ થઇ હતી. પિંકીની સગાઇ થયા પછી પણ, આકાશ પિંકીને ભૂલી શક્યો ન હતો. આ અંગેની જાણ નિખીલને થતાં તેણે આકાશને ધમકી આપી હતી, પિંકીની મારી સાથે સગાઇ થઇ ગઇ છે. તું તેનો પીછો છોડી દે. આ ઉપરાંત નિખિલના અન્ય પરિવારજનો પણ આકાશને ધમકી આપતા હતા. આથી આકાશ સોલંકીએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
તરસાલી ચંદ્રનગર સોસાયટીમાં બનેલા આ બનાવ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.