થરાદ : બનાસકાંઠાના સરહદી થરાદ શહેરમાં કેટલાંક વર્ષોથી માથે પાઘડીઓ પહેરીને શોખ જેવા જણાતા અને એક ચોક્કસ નંબરના જીપડાલામાં પથ્થર, જાળી અને લાકડી તથા તલવાર જેવાં ઘાતક હથીયારો લઇને એક ટોળકી કુદરતના સફાઇ કામદાર જેવા ભુંડને પકડી રહી છે. નગરના હાઇવે તથા બજારની સોસાયટીઓમાં મધરાતે તથા વહેલી પરોઢે અને સવારે ત્રાટકતી આ ટોળકીની ભુંડને પકડવાની દોટો અને બુમો વચ્ચે તેમની જાળીમાંથી છટકવાના પ્રયાસમાં બચવાનો ચિત્કાર કરતા ભુંડોના કરૂણ અવાજોના કારણે રહીશોમાં ભારે દયા અને કરૂણાની લાગણી પ્રસરેલી જોવા મળે છે. પરંતુ ભુતકાળમાં ભુંડોને બચાવવા જતાં આવા તત્વોએ લોકો અને પોલીસ પર પણ હુમલો કરેલા હોઇ તેમને કહેવા જતાં લોકો ફફડાટ અનેદહેશતની લાગણી અનુભવે છે.સોસાયટીનાં રહીશ નીતાબેને જણાવ્યું હતુંકે તેઓ પરિવાર સાથે ધાબા પર સુતેલા હતા આ વખતે ભુંડ પકડવા ટોળીએ મચાવેલા આતંકને તેમની માસુમ પુત્રીએ જોઇ લેતાં તેના માનસપટ પર વિપરીત અસરો થવા પામી હતી. થરાદમાં આ ટોળકી દ્રારા મચાવવામાં આવતા આતંક અંગે જીવદયાપ્રેમીઓમાં ભારોભાર રોષ અને આક્રોશની લાગણી ફેલાવા પામી છે.જીવદયાપ્રેમીઓએ આ અંગે તંત્રનું અવારનવાર ધ્યાન પણ દોર્યું હતું.
નગરના વિવિધ વિસ્તારોમાંથી ભુંડ ન મળે તો રાત્રે નાનાં વાછરડાંની પણ આ ટોળકી દ્રારા ઉઠાંતરી કરવામાં આવતી હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.વળી રાત્રે નગર અને ગ્રામ્યવિસ્તારોમાં થતી ઘરફોડ અને મંદીરોની ચોરીઓમાં પણ આ ગેંગ સામે શંકા ભર્યા આક્ષેપો પણ થઇ રહ્યા છે.બીજી બાજુ નગરપાલિકા દ્રારા ભૂંડ પકડવાનો કોન્ટ્રાકટ કયારેય અપાયો નથી.તેમ છત પણ નગરમાં કોની પરવાનગી લઇને આ શખસો આવી પ્રવૃતી કરી રહ્યા છે તે પ્રશ્ન પણ ચર્ચાસ્પદ બન્યો છે. આમ આ ટોળકી ગેરકાયદે ભૂંડ પકડી રહી છે અને ભુંડ પકડવાના નામે ગુન્હાઓ આચરતી હોવા છતાં તેની પાછળ તંત્રની બેદરકારી હોવાની ચર્ચાઓ વચ્ચે જીવદયાપ્રેમીઓએ યોગ્ય કાર્યવાહી કરાવવા માંગ ઉઠાવી છે