વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 ઉપર દાદરની એંગલ પર ગળે ફાંસો ખાઇ મુસાફરે આત્મહત્યા કરી લીધી હતી. આ મુસાફરનો મૃતદેહ ત્રણ દિવસથી લટકતો રહ્યો હતો. પરંતુ કોઇનું ધ્યાન ગયું ન હતું. આજે રેલવે પોલીસને કોઇ મુસાફરે જાણ કરતા પોલીસે લાશનો કબજો લઇ સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં મુકી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 ઉપર પોષ્ટ ઓફિસની કચેરી પાસે આવેલા દાદરની એંગલ ઉપર કોઇ મુસાફરે એક વ્યક્તિને લટકતો જોતા જ ચોંકી ઉઠ્યો હતો. અને તુરંત જ રેલવે પોલીસને જાણ કરી હતી. દરમિયાન મુસાફરના ટોળા પણ એકઠા થઇ હતા. મળતી માહિતી પ્રમાણે આ મુસાફરે ત્રણ દિવસ પહેલાં ફાંસો ખાઇ લીધો હતો. આશ્ચર્યની વાત એ છે કે, 24 કલાક મુસાફરો અને ટ્રેનોથી ધમધમતા પ્લેટફોર્મ નંબર-1 કોઇની નજર આ લટકતા મુસાફર ઉપર પડી ન હતી. આજે સવારે એક મુસાફરની નજર પડતા તેણે પોલીસને જાણ કરી હતી.
પોલીસને જીવાદોરી ટુંકાવી લેનાર મુસાફરના ખિસ્સામાંથી કંઇ મળી આવ્યું નહોતુ. જેથી પોલીસે હાલમાં લાશનો કબજો લઇ સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં મુકી છે. અને આ મુસાફર ક્યાંનો છે. તે અંગે તપાસ શરૂ કરી છે.