ઈડરના ઉમેદગઢ ગામમાં નાના ભાઈના પ્રેમ સંબંધમાં મોટા ભાઈને મોત મળ્યું હતું. મૃતક યુવકના પરિવારજનોએ ન્યાય ન મળે તો લાશના અંતિમસંસ્કાર ન કરવા નિર્ણય લેતા ખળભળાટ મચી ગયો છે. લાશ મળ્યા બાદ બે ગામો વચ્ચે અજંપાભરી સ્થિતિ છે. પોલીસે ૨૫ના ટોળા સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પરિવાર આરોપીઓ ન પકડાય ત્યાં સુધી મૃતકની લાશને ઘરમાં રાખવા નિર્ણય કર્યો છે.
ઉમેદગઢ ગામનો યુવક અને દેશોતર ગામની યુવતી શુક્રવારે રાત્રે પલાયન થઇ ગયા હતા. ત્યારબાદ યુવતીના સગાવ્હાલા શુક્રવારે રાત્રે સાડા અગિયારેક વાગ્યે ૩ વાહનો લઇને તેના ઘરે પહોંચ્યા હતા. ફરાર યુવક જયેશ પટેલના મોટા ભાઇ રોનકકુમાર ભીખાભાઇ પટેલ (ઉ.વ.૨૭) ને માર મારી ગાડીમાં નાખી લઇ જવાની કોશિષ કરતાં દોડી આવેલા પડોશીઓ વચ્ચે પડ્યા હતા, યુવકે મોકો જોઈને નાસવા માંડ્યો હતો અને અંધારામાં ખેતરમાં થઇ ભાગ્યો હતો. શનિવારે વહેલી સવારે તેના ઘરથી ૩૦૦ મીટરના અંતર આવેલા કૂવામાં તેની લાશ મળી આવી હતી. દરમિયાન મૃતકની માતાએ તેના મોટા પુત્રને ટોળાંએ કૂવામાં ધકેલી દીધો હોવાનો આક્ષેપ કર્યો હતો. પોલીસે ૨૫ના ટોળાં વિરુદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે.