ડીસા પાકિસ્તાન સાથેની બોર્ડર અને રણ વિસ્તાર ધરાવતા સરહદી બનાસકાંઠા જિલ્લાના અનેક પ્રશ્રો આઝાદીને દાયકાઓ વિતી જવા છતાં પડતર જ રહી જવા પામ્યા છે. જેના કારણે જિલ્લાનો વિકાસ રૂધાય છે. જેનો રોષ જિલ્લાની શાણી પ્રજા મત પેટીમાં ઠાલવે છે. જેના કારણે જિલ્લો ચૂંટણીમાં અણધાર્યાં પરિણામો માટે જાણીતો બન્યો છે. જેથી જિલ્લાની ચૂંટણીના પરિણામ ઉપર સમગ્ર રાજ્યની નજર રહે છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં એક-એક બેઠક મહત્વની બની ગઇ છે ત્યારે ચૂંટણીમાં બનાસ વાસીઓના આગવા મિજાજથી જિલ્લામાં ઉમેદવારની પસંદગી મુદ્દે બંને પક્ષોમાં પડેલી મડાગાંઠ વધુ ગુંચવાઇ ગઇ છે.
સરહદી બનાસકાંઠા જિલ્લો ભૌગોલિક દૃષ્ટિએ અનેક વિશેષતાઓ ધરાવે છે. જિલ્લો પ્રાકૃતિક વન સંપદાથી સમૃધ્ધ છે પરંતુ રણ વિસ્તારના કારણે જિલ્લામાં પાણીનો મુખ્ય પ્રશ્ન છે. તેમાં પણ ઓછા વરસાદ વચ્ચે હજારો નહી પણ લાખો ટ્યૂબવેલ મારફત દરરોજ પાણી ઉલેચાતાં ભૂગર્ભ જળમાં ધરખમ ઘટાડો થયો છે. તેમ છતાં હજુ સુધી માત્ર જિલ્લાની પશ્વિમે આવેલા કાંકરેજ, ભાભર, દિયોદર અને વાવ-થરાદ તાલુકાને જ નર્મદાના નીરનો લાભ મળ્યો છે. બાકીના તાલુકા કોરાધાકોર રહી ગયા છે. જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ પણ ખાલી છે. એ સિવાય રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીના ફાડીયા થતાં એક સમયની વિખ્યાત દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી મૃતપાયઃ થઇ ગઇ છે. ‘વાયબ્રન્ટ ગુજરાર્ત અંતર્ગત અબજાના એમ.ઓ.યુ. વચ્ચે જિલ્લો આજે પણ મોટા ઉદ્યોગથી વંચિત રહી ગયો છે. એકમાત્ર ખેતી, જી.આઇ.ડી.સી. અને હીરા ઉદ્યોગ પણ સરકારી પ્રોત્સાહનના અભાવે ડચકા ખાય છે. ડીસા એરપોર્ટ ધૂળ ખાય છે તો જિલ્લાવાસીઓને પૂરતી રેલ્વે સેવા પણ મળતી નથી. અનેક મહત્વની કચેરીઓ મહેસાણા ખસેડાય છે. આ પ્રાણ પ્રશ્નો દર ચૂંટણીમાં ચમકે છે અને ઉમેદવારો વાયદા અને વચનો આપે છે પરંતુ આ વાયદા અને વચનો ચૂંટણી પત્યા બાદ 'હથેળીમાં ચાંર્દ પુરવાર થાય છે. જેની દાઝ જિલ્લાવાસીઓ મત પેટીમાં બરાબરની ઠાલવે છે. તેથી દેશ કે રાજ્યની ચૂંટણીના પરિણામો કરતાં જિલ્લાનું ચૂંટણીનું પરિણામ અણધાર્યું આવે છે. ભાજપની વિકાસની બૂમરાણો વચ્ચે છેલ્લા અઢારેક વર્ષથી રાજ્યમાં ભાજપનું શાસન છે. તેમ છતાં જિલ્લો વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ગઢ પુરવાર થાય છે. રામ મંદિર વિવાદ બાદ ૧૯૮૧ થી આજ સુધી લોકસભાની ચૂંટણીના ખેલાયેલા માત્ર આઠ ચૂંટણી જંગ ઉપર નજર કરીએ તો ભાજપ પાંચ અને કોંગ્રેસ ત્રણ વખત જીત્યું છે. છેલ્લે ૨૦૧૪ માં પ્રચંડ 'મોદી વેર્વ વચ્ચે જિલ્લાવાસીઓએ પડતર પ્રશ્નોના નિરાકરણની આશાએ ભાજપને જીતાડ્યું હતું. તેમ છતાં પડતર પ્રશ્નો આજે પણ ‘ઠેરના ઠેર્ર છે. આ વખતે હાર-જીતના સમીકરણો ધરમૂળથી બદલાઇ ગયા છે અને બહુમતિ સમાજા ખુલ્લેઆમ બગાવત ઉપર ઉતરી આવ્યા છે. જેથી ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવાર પસંદગી મામલે પડેલી મડાગાંઠ હજુ સુધી ઉકેલાઇ નથી. તેના મૂળમાં બનાસવાસીઓનો ચૂંટણીમાં અનોખો મિજાજ જવાબદાર છે. તેવું રાજકીય વિશ્લેષકો પણ કબૂલી રહ્યા છે.