પારસી કોમ ભારતમાં ઈરાનથી આવી હતી. ઈરાનમાં આરબ મુસ્લિમોના કબજા પછી એમને હેરાન પરેશાન કરવામાં આવ્યા હતા, તેથી તેઓએ ભારતનું શરણું લીધું હતુ. હું એ વાત કરવા માંગુ છું કે, વર્તમાન સરકારના ઝ્રછછ ના કાયદાને પારસી સમજી શકે છે એટલો બીજો કોઈ નહીં સમજી શકે. ઉપરોક્ત શબ્દો ઉદવાડા ગામે ઈરાનશા ઉત્સવમાં પધારેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉચ્ચાર્યા હતા.આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, પારસીઓ ભારતમાં આવ્યા અને ભારતને પોતાનો માનીને રહ્યા. દૂધમાં સાકરની જેમ ભળી ગયા અને દેશના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો. તેમણે પારસી આગેવાનોને યાદ કરતા નાની પાલખીવાલા, જમશેદજી તાતા, જનરલ માણેકશા, શાપૂરજી પાલનજી તથા સ્વતંત્રતા ચળવળમાં ભાગ ભજવનાર દાદા નવરોજી તથા મેડમ કામાને પણ યાદ કરતા તેમની દરિયાદિલીને બિરદાવી હતી.તેમણે જણાવ્યું કે પારસી કોમ ભારતમાં આવી પરંતુ તેમણે કદી ધર્માંતરણ નથી કરાવ્યું કે એ બાબતે વિચાર્યું પણ નહીં. પારસીઓએ પોતાનું સત્વ જાળવી રાખ્યું છે અને તેથી આ કોમ માટે ગુજરાત સરકાર અને ભારત સરકારને માન છે. પારસીઓએ સરકાર પાસે કંઈ માંગ્યું નથી પણ આપ્યું છે.મુખ્યમંત્રીએ જણાવ્યું કે દેશમાં લધુમતી અને બહુમતીની હાલ ચર્ચા થઈ રહી છે પરંતુ માઈક્રો માયનોરિટી એવી પારસી સમાજે કોમવાદથી અલગ રહી પ્રેમ, કરૂણા, દયા, અનુકંપા, મીઠાસ સાથે શાંતિ અને સદ્દભાવના જ આપી છે.ઝ્રછછ કાયદા અંગે વાત છેડતા તેમણે જણાવ્યું કે આ કાયદો કોઈની નાગરિકતા છીનવવાનો નથી, પણ નાગરિકતા આપવાનો છે. દેશ આઝાદ થયો તુરંત ભાગલા પડયા ત્યારે હિન્દુસ્તાન અને પાકિસ્તાનના નાગરિકો જે દેશમાં રહેવું હોય તેની છૂટ અપાઇ હતી અને જે દેશમાં જે ધર્મની લઘુમતી હોય તેની સુરક્ષાની જવાબદારી બંને દેશોએ નિભાવવાની ખાતરી આપી હતી. પરંતુ વોટબેંકની રાજનીતિને કારણે કમનસીબે પાડોશી દેશે લઘુમતીની રક્ષા કરી નહીં. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં આઝાદી ટાણે ૪૫૦ હિન્દુ મંદિરો હતા તેમાંથી આજે માત્ર ૨૦ બચ્યા છે. અફઘાનમાં બુદ્ધની મૂર્તિને તો તોપના ગોળાથી ઉડાવી દેવામાં આવી છે. ક્યાંક અલ્પસંખ્યક હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. આવા નાગરિકો શરણાર્થી તરીકે હિન્દુસ્તાનમાં આવ્યા પરંતુ તેમને વર્ષો સુધી નાગરિકતા મળી નહીં. આવા પીડિતોને નાગરિકતા આપવા માટેનું આ બિલ છે.