ભાઠા ગામ માલિક મહોલ્લા પાસે બાવળની ઝાડીઓમાંથી રવિવારે સાંજે 9 વર્ષની બાળકીનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મહોલ્લાનાં બાળકોનું ધ્યાન જતાં બાળકીની માતા ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બાદ મૃતદેહ ઉતારી લેવાયો હતો. શંકાસ્પદ જણાતા આ મામલામાં પીએમ કરનાર તબીબોએ પણ શંકાસ્પદ ભૂમિકા ભજવી નિયમ વિરુદ્ધ રાત્રે પોસ્ટમોર્ટમ કરી નાખ્યું હતું. કોઈ એન્ટ્રી વગર લાશ પરિવારને સોંપી દેવાતાં મોતનું રહસ્ય ઘેરાયું છે.
જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હસમુખ ચૌધરીએ જણાવ્યું હતું કે, રાત્રે પોસ્ટમોર્ટમ કરાયું હોય તેવી વાત મળી છે. એક્સિડન્ટ સિવાયના કોઈ પણ કેસમાં રાત્રે પોસ્ટમોર્ટમ કરી શકાતું નથી. રાત્રે પોસ્ટમોર્ટમ શા માટે કરાયું તે અંગે તપાસ કરી પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરો પાસે ખુલાશો માંગીશું અને જો દોષિત જણાશે તો તે અંગે કાર્યવાહી કરાશે.