બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે કેનાલો બનાવવામાં આવી છે પણ ઘણી કેનાલોમાં આજ સુધી પાણી નહિ પણ બાવળો જ દેખાઈ રહ્યા હોઈ આ કેનાલો શોભાના ગાંઠિયા જેવી બની રહી છે. મીડિયા કર્મીઓએ આ કેનાલોની રિયાલીટી ચેક કરતાં કેનાલની કામગીરીમાં વ્યાપક ગેરરીતિ થયાના ગંભીર આક્ષેપો સાંભળવા મળ્યા હતા.સુઈગામ તાલુકાના બાહીસરા ગામની સીમમાંથી પસાર થતી કેનાલ છેલ્લા છ વર્ષથી શોભાના ગાંઠિયા જેવી પડી છે.૨૦૧૫ અને ૨૦૧૭ માં આવેલ પુર વખતે ઠેર ઠેર આ કેનાલનું ધોવાણ થઈ ગયું હોવા છતાં તંત્રને હજુ આ કેનાલનું રિપેરીગ કરાવવાનો સમય મળ્યો નથી.આ કેનાલમાં અત્યારે બાવળો ઉગી નીકળ્યા છે અને આ કેનાલ કોરિધાકોર ભાસી રહી છે. રાજ્ય સરકારે કરોડો રૂપિયા પુર વખતે કેનાલોના રિપેરીગ માટે ફાળવ્યા હોવા છતાં આજસુધી આવી ઘણી કેનાલોનું રિપેરીગ થયું નથી.જેથી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ કેનાલોના સમારકામના નામે ગેરરીતિઓ આચરી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલીસ્ટ કરી ગેરરીતિમાં સામેલ અધિકારીઓ વિરુદ્ધ પણ ખાતાકીય પગલાં લે તેવી માંગણી સ્થાનિક લોકો કરી રહ્યા છે.