બનાસકાંઠામા આશ્રમશાળાના કર્મચારીઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા માંગ
(રખેવાળ ન્યૂઝ)પાલનપુર, સરહદી બનાસકાંઠા જિલ્લાની વિવિધ આશ્રમ શાળાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ પડતર માંગોને લઈ સરકાર સામે મોરચો માંડયો છે. જેમા સાતમા પગાર પંચના લાભ સહિતની ૧૮ માંગણી મામલે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં તેમની માંગણી ઓ પુરી કરવામા નહિ આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક માં છે ત્યારે વિવિધ વિભાગોમા ફરજ બજાવતા કર્મચારીઓ પડતર માંગોને લઈ સરકાર સામે મોરચો માંડી રહ્યા છે. જેને લઈ બનાસકાંઠામાં પણ કર્મચારી ઓના આંદોલનનો પવન ફૂંકાવા લાગ્યો છે. જે વચ્ચે જિલ્લામાં એસ.સી, ઓબીસી અને એસ.ટીની ૪૩ જેટલી આશ્રમ શાળામાં ફરજ બજાવતા ૩૫૦ કર્મચારીઓ એ પડતર પ્રશ્નોના ઉકેલ માટે આંદોલન નો માર્ગ અપનાવી પાલનપુર ખાતે જિલ્લા કલેકટર આનંદ પટેલને આવેદનપત્ર પાઠવ્યું હતું.
જેમાં આશ્રમ શાળના કર્મચારી ઓને સાતમા પગાર પંચનો લાભ,૪૨૦૦ ગ્રેડ પે,વિદ્યા સહાયકોની સળંગ નોકરી ગણવી, આશ્રમશાળાના અલગ ગૃહપતિ અને ગૃહમાતાનો જોગવાઈ કરવી, કર્મચારીઓનું ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવું, બદલીનો લાભ, નિવૃત્તિ બાદ ૩૦૦ રજાનું રોકડમાં ચુકવણું કરવું,ચાલુ નોકરી એ અવસાન પામનાર કર્મચારી ના આશ્રિતને સહાય ચૂકવવા સહિત ૧૮ માંગોનો ઉકેલ લાવવાની માંગ કરી હતી અને તેમનો માંગો પુરી કરવામાં નહિ આવે તો આંદોલન કરવાની ચીમકી અપાઈ હતી.