ડીસા પંથકના ખેડૂતોની બનાસ નદીમાં ચેકડેમ બાંધવાની ઉગ્ર માંગ
(રખેવાળ ન્યૂઝ)ડીસા, દાંતીવાડા ડેમથી ભીલડી વચ્ચે બનાસ નદીમાં ચેક ડેમ બાંધવા અને વર્ષોથી કેનાલ મારફતે પાટણ જીલ્લામાં અપાતું પાણી બંધ કરી બનાસ નદીને જીવંત રાખવાની ખેડૂતોની માંગ દિવસે દિવસે વધુ ઉગ્ર બનવાનો અણસાર જાેવા મળે છે. ખેડૂતોના પાણી માટે આંદોલનના ભણકારા વાગી રહ્યા છે.
બનાસ નદીમાં વહેતા પાણીને ડીસા અને ભીલડી તાલુકામા મોટાં ચેક ડેમ બાંધી રોકવામાં આવે તો કાંઠાના અનેક ગામોને સિંચાઈના પાણીનો લાભ થાય અને ખેતી શક્ય બની શકે તેમજ કેનાલનું પાણી બનાસ નદીમાં છોડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. વર્ષોથી બનાસ નદીના કાંઠે પાણીના વલખાં મારતા ખેડૂતો પાણીની માંગ સાથે લડી લેવાના મૂડમાં છે અને કદાચ આવનારા સમયમાં ખેડૂતો કેનાલમાં પાણી ન છોડવું, બનાસ નદીમાં ચેક ડેમ બાંધી પાણી બનાસ નદીમા જ છોડાય તેવી માંગ માટે રસ્તે ઉતરે તેવા ભણકારા વાગી રહ્યા છે. ખેડૂતોએ પાણીની માંગણીઓ કરતાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ આવેદનપત્ર આપ્યું છે.જેમાં ડેમનું પાણી બનાસ નદીમા આપવામા આવે અને જો આવું શક્ય ન હોય તો દાંતીવાડા ડેમને ભરેલો રાખવામાં આવે. જેથી ભૂગર્ભ પાણીના તળ ઉંચા આવે. ડીસા તાલુકો મોટા ભાગે ખેતી સાથે પશુપાલનના વ્યવસાય ઉપર ર્નિભર છે. પરંતુ છેલ્લા અનેક વર્ષોથી સિંચાઈના પાણીની ખુબ મોટી મુશ્કેલી ઉભી થાય છે.
દિવસે દિવસે મોંઘવારીના માર સામે ખેડૂત પરિવારોને હાલના સમયમાં જીવનનિર્વાહ ચલાવવો મુશ્કેલ બન્યો છે. પાણી વિના ખેતીમાં આવક નથી કરી શકાતી તો બીજીબાજુ પાણી વિના પશુપાલન કરવું પણ અઘરું બન્યું છે. સિંચાઈના પાણીના અભાવે ખેડૂતોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે અને જેનાં લીધે હવે ડીસા, ભીલડી સહિત વિસ્તારોના ખેડૂતો પાણીની માંગ કરી રહ્યા છે તેવા સમયે તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરાય તેવી રજુઆત કરાઈ છે.