હત્યાના ગુનામાં 7 વર્ષથી ફરાર આરોપી ઇકબાલગઢના ડેરી ગામેથી ઝડપાયો
સાબરકાંઠા જીલ્લાના પોશીના પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનાનો આરોપી આજીવન સજા કાપતો છત્રાંગ ગામનો આરોપી વચગળાના જામીન પર આવ્યા બાદ સાત વર્ષથી નાસી ગયો હતો. જેને એલસીબીની પેરોલ ફર્લો સ્કોર્ડ દ્વારા છેલ્લા 15 દિવસની મહેનત બાદ ઇકબાલગઢના ડેરી ગામેથી ઝડપી લીધો હતો અને અમદાવાદ મધ્યસ્થ જેલને સોપ્યો હતો.
આ અંગે એલસીબીના પીઆઈ એમ.ડી.ચંપાવતે જણાવ્યું હતું કે, પોશીના પોલીસ સ્ટેશનમાં વર્ષ 2009માં હત્યાના ગુનામાં છત્રાંગ ગામનો ખીમાભાઈ નાથાભાઈ પરમાર જે અમદાવાદ મધ્યસ્થ જેલમાં પાકા કામનો કેદી s/15337 નંબરનો આજીવન કેદની સજા ભોગવતો હતો. વચગાળાના જામીન મંજુર થતા ખીમાભાઈ ઘરે આવ્યો હતો. ત્યારબાદ 28/10/2017ના રોજ અમદાવાદ મધ્યસ્થ જેલમાં હાજર થવાનું હતું, પણ ખીમાભાઈ પરમાર નાસી ગયો હતો.
સાત વર્ષથી નામ બદલી પત્ની સાથે પાલનપુર, ત્યારબાદ ઇકબાલગઢ અને ડેરી ગામે રહી મજુરી કરતો હતો. તો પેરોલ ફર્લો સ્કોર્ડે પકડવા માટે છેલ્લા 15 દિવસથી મહેનત હાથ ધરી હતી. દરમિયાન ફર્લો સ્ટાફના ગોપાલભાઈ અને પ્રવિણભાઈને બાતમી મળી હતી કે બનાસકાંઠાના ઇકબાલગઢના ડેરી ગામે પેરોલ જંપ કેદી રહે છે. જેને લઈને લઈને પેરોલ ફર્લો સ્કોર્ડ પીએસઆઈબી.યુ.મોરીમા, ગોપાલભાઈ, પ્રવીણભાઈ, ઇન્દ્રસિંહ, રાજુસિંહ, ધર્મેન્દ્રસિંહ, વિરેન્દ્રકુમાર, ઇન્દ્રજીતસિંહ, ચંદ્રસિંહ, કલ્પેશકુમાર.રાજેશકુમાર, નિરીલકુમાર અને જશુભાઈ ઇકબાલગઢના ડેરી ગામે પહોચ્યા હતા અને શખ્સને લઈને એલસીબી કચેરી લાવી પૂછપરછ કરતાં તેનું નામ ખીમાભાઈ નાથાભાઈ પરમાર જણાવ્યું હતું અને હત્યાના ગુનામાં આજીવનકેદની સજા ભોગવી રહ્યો છે. જે જામીન પર આવ્યા બાદ નાસી ગયો હતો. જેથી તેને અમદાવાદ મધ્યસ્થ જેલમાં સોપી દેવામાં આવ્યો હતો.