મહેસાણા કોર્ટ બહાર અર્બુદા સેનાના કાર્યકરોની ભીડ, વિપુલ ચૌધરીને પાછળના દરવાજેથી કોર્ટમાં લઈ જવાયા
વિધાનસભાની ચૂંટણી પહેલાં જ ઉત્તર ગુજરાતમાં એક રાજકારણમાં ગરમાવો આવી ચૂક્યો છે. દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ બાદ ઉત્તર ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. વિપુલ ચૌધરીની ધરપકડને લઈને અર્બુદા સેનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલે મહેસાણા ખાતે અર્બુદા સેનાની બેઠક યોજાઈ હતી અને કલેક્ટર કચેરીમાં વિપુલ ચૌધરીને ધરપકડમાંથી મુક્ત કરવા માટે મોટી સંખ્યામાં અર્બુદાના કાર્યકરોએ એકત્રિત થઈ કલેકટર કચેરીનો ઘેરાવ કર્યો હતો. ત્યારે આજે સમગ્ર મામલે વિપુલ ચૌધરીને મહેસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે, જેને લઇ કોર્ટ બહાર મોટી સંખ્યામાં અર્બુદા સેનાના કાર્યકરો ઊમટી પડ્યા છે, જેથી પાછળના દરવાજેથી વિપુલ ચૌધરીને કોર્ટમાં લઈ જવાયા છે.
મહેસાણામાં દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ગઇકાલે રાત્રે ધરપકડ બાદ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. કોર્ટમાં રજૂ કરવાની જાણ અર્બુદા સેનાને થતાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત કાર્યકરો કોર્ટ બહાર ભેગા થયા છે. પરિસ્થિતિ ન વણસે એ માટે કોર્ટની બહાર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો છે.
વિપુલ ચૌધરીના સમર્થકો ગેટ નંબર-2 પર ઊમટી પડ્યા, તેમને પાછળના એટલે કે ગેટ નંબર-3 પરથી કોર્ટમાં લઈ જવાયા હતા. મળતી માહિતી મુજબ, ક્રાઇમ બ્રાન્ચ તેના 14 દિવસના રિમાન્ડ પણ લઈ શકે છે.
દૂધસાગર ડેરીના નાણાકીય ગોટાળા સંદર્ભે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી અને તેમના CA શૈલેષ પરીખની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ગઇકાલે રાત્રે ધરપકડ કરી છે. મહેસાણા ACBમાં દૂધસાગર ડેરીના નાણાકીય ગોટાળા સંદર્ભે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી,. જેમાં 17 બેનામી કંપનીઓ ઊભી કરીને ઉક્ત રકમ બારોબાર ટ્રાન્સફર લેવાઈ હોવાના ગંભીર આક્ષેપો કરાયા હતા.