રાધનપુરનાં સિનાડમાં દુરદર્શન કેન્દ્રમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
રાધનપુર તાલુકાના સિનાડ ગામે આવેલા દુરદર્શન કેન્દ્રમાં ચોરીને અંજામ આપનાર તસ્કરોને ગણતરીના દિવસોમાં રાધનપુર પોલીસે ઝડપી લઈ ચોરીનો મુદ્દામાલ પોલીસે હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના તાલુકા મથક રાધનપુરનાં સિનાડ ગામે આવેલા દુરદર્શન કેન્દ્રમાં તાજેતરમાં તસ્કરો એ ત્રાટકી કેબલ વાયર, કોપર પટ્ટીઓ, પંખો, બેટરી, ટુલ્સ સહિત રૂ. 1 લાખ 15 હજાર 360નાં મુદ્દામાલની તસ્કરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. જે બાબતે રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદને ધ્યાનમાં રાખીને રાધનપુર પોલીસ દ્વારા તસ્કરોને ઝડપી લેવા ટીમ બનાવી ચક્રોગતિમાન કર્યા હતા.
ગતરોજ રાધનપુર પોલીસ ને મળેલી બાતમીના આધારે ચોરીના કામે લેવામાં આવેલી સફારી ગાડી સાથે ચાર શખ્સોને ચોરીનાં મુદામાલ સાથે ઝડપી લઇ પોલીસ મથકે લાવી પુછપરછ કરતાં ઝડપાયેલા તસ્કરો પૈકી ઠાકોર મહેશ રામાભાઈ સકતાભાઈ, રધુ પુનાભાઈ, દશરથ ઉફૅ કચો ભવાનભાઈ અને ચોરીનો માલ વેચાણ રાખી ભરવા આવેલ ભરવાડ અંકિત અજયભાઈની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.