![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/09/અંબાજી-ભાદરવી-પૂનમના-મેળામાં-દાંતા-તાલુકા-પંચાયત2.jpg)
અંબાજી મેળામાં વિખૂટા પડેલાં 227 બાળકો, અન્ય 942 લોકોનું પરિવારજનો સાથે મિલન
દાંતા તા. પંચાયત દ્વારા કાર્યરત કન્ટ્રોલ પોઇન્ટની મુખ્ય સુવિધા થકી મેળામાં અત્યાર સુધી પોતાના પરિવાર સ્વજનોથી છુટા – વિખુટા પડી ગયેલા 227 બાળકોનું પુનઃ સ્થાપન કરવામાં આવ્યું છે. તો અન્ય 942 લોકોને પોતાના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યુ છે.
અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકોને મેળા અંગે જરૂરી માહિતી, માર્ગદર્શન અને મદદ એક જ સ્થળેથી મળી રહે એ માટે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયત દાંતા દ્વારા સંચાલિત મુખ્ય કન્ટ્રોલ પોઇન્ટની સુવિધા અંબાજી સર્કલ ખાતે ઉભી કરવામાં આવી છે. આ સુવિધા યાત્રિકો માટે આશીર્વાદરૂપ બની રહી છે. આ વ્યવસ્થા અંતર્ગત સતત 24 બાય 7 કલાક લાઉડ સ્પીકર પર એનાઉન્સ કરી યાત્રિકોને વિવિધ માહિતી અને માર્ગદર્શન સાથે યાત્રાળુઓને નાની મોટી મદદ આપવામાં આવી રહી છે.
તો મેળામાં સ્વજનોથી વિખુટા પડી ગયેલા લોકોનું પોતાના પરિવાર અને સ્વજનો સાથે પુનઃ મિલન કરાવવાનું માનવીય કાર્ય કરવામાં આવી રહ્યું છે. કન્ટ્રોલ પોઇન્ટની મુખ્ય સુવિધા થકી મેળામાં અત્યાર સુધી પોતાના પરિવાર સ્વજનોથી છુટા – વિખુટા પડી ગયેલા 227 બાળકોનું પુનઃ સ્થાપન કરવામાં આવ્યું છે. તો અન્ય 942 લોકોને પોતાના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું છે. શુક્રવારે કન્ટ્રોલ પોઇન્ટ પર 2 વર્ષની અને 4 વર્ષની બાળકી મળી આવી હતી. જેનું પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવતા પરિવારજનોએ સરકારની આ સુવિધા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.