![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/09/Rakhewal-154.jpg)
હિંમતનગર શહેરમાં ગણેશ વિસર્જન પૂર્વે ભવ્ય અન્નકૂટ, મહાઆરતી અને ગરબા યોજાયા
હિમતનગર શહેર સહિત સાબરકાંઠા જિલ્લામાં આજે બપોર બાદ ગણેશ વિસર્જનની ભવ્ય શોભાયાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળશે. ત્યારે ગઈકાલે ગુરૂવારે રાત્રે હિંમતનગર શહેરમાં ઠેર ઠેર સ્થાપિત કરાયેલા ગણેશજીના પંડાલમાં ભક્તો દ્વારા ભવ્ય અન્નકૂટ ભરવામાં આવ્યો હતો. તો મહાઆરતી અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
હિંમતનગરના ગાંધી રોડ પર આવેલી શ્રી મોટા મંદિર લક્ષ્મીનારાયણ ખાતે શ્રી સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણેશ સ્થાપન કરવામાં આવ્યું છે. તો દરરોજ આરતી બાદ દસ દિવસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું તો ગુરૂવારે રાત્રે મહાઆરતી પણ કરવામાં આવી હતી. હિંમતનગરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં અલકાપુરીમાં 27મા વર્ષે યુવક મંડળ દ્વારા ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે. તો આરતી બાદ દરરોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તો ગુરૂવારે ગણેશજીની મહાઆરતી સ્થાનિકોએ કરી હતી, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ સભ્યો પણ જોડાયા હતા.
હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ પર આવેલી અયોધ્યાપુરી સોસાયટીમાં છેલ્લા ચાર વર્ષથી ગાયત્રી યુવા ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગઈકાલે ગુરૂવારે વિસ્તારના રહીશો અને ભક્તો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને સમૂહ આરતી કરી હતી. તો આજે આજ સ્થળે બનાવેલા કૃતિમ તળાવમાં ગણેશ વિસર્જન કરવામાં આવશે.