![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/09/Rakhewal-152.jpg)
પાટણની પી.કે.કોટાવાલા આર્ટ્સ કોલેજના સંસ્કૃત વિભાગના વિદ્યાર્થીઓએ પ્રાચીન વારસાની મુલાકાત લીધી
પાટણની પી.કે.કોટાવાલા આર્ટ્સ કોલેજના સંસ્કૃત વિભાગના છાત્રોએ પાટણના સુપ્રસિદ્ધ હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર, પંચાસરા જૈનમંદિર, પ્રાચીન છત્રપતેશ્વર મંદિર અને પ્રાચીન ત્રિકમ બારોટ વાવની મુલાકાત લીધી હતી.
વિદ્યાર્થીઓએ જ્ઞાન મંદિરમાં વર્ષોથી સચવાયેલા સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં લખાયેલા તાડપત્રો, હસ્તપ્રતો, જૂના સિક્કાઓ, લેખન સામગ્રી અને આ સાહિત્યની જાળવણીના સાધનોનો માર્ગદર્શક દ્વારા પરિચય મેળવ્યો હતો. સંસ્કૃત ભાષાના કાલિદાસ, દંડી, મમ્મટ જેવા કવિઓના ગ્રંથો આ ભંડારમાં જળવાઇ રહ્યા છે. આદિ કાવ્ય રામાયણની હસ્તપ્રત પણ તેમાં જળવાઇ રહી છે. આ ઉપરાંત હેમચંદ્રાચાર્ય કૃત અનેક ગ્રંથો તેમાં ઉપલબ્ધ છે.