![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/09/Rakhewal-136.jpg)
સુપ્રીમના એક ઓર્ડરથી અમદાવાદ સહિત ગુજરાતમાં ‘લોક’ રહેલી જમીન પર ડેવલપમેન્ટના દ્વાર ખુલશે
ગુજરાતમા અમદાવાદ સહિત જ્યા પણ ખેત મંડળીઓના નામે જમીન છે એવી તમામ જમીનોમા ખેતી સિવાય ઔદ્યોગિક, વેપારી, રહેણાંક કે પછી હોટલ- હોસ્પિટલ, સ્કુલ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ જેવી તમામ એક્ટિવિટી થઈ શકશે. છૂટથી ડેવલપમેન્ટ કરી શકાશે. કારણ કે હવે સુપ્રીમ કોર્ટે પણ ગણોતધારાની કલમ ૬૩ એબી હેઠળ મંડળીઓની જમીનને પણ ખેડૂત અને ખેડૂત તરીકેના લાભો આપવા ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો છે.
વર્ષ ૨૦૧૫મા ગુજરાત સરકારે ઉધોગો ઝડપથી જમીન પ્રાપ્ત કરી બિનખેતી કરાવી શકે તે ઉદ્દેશ્યથી મહેસૂલી કાયદામા કેટલાક સુધારા કર્યા હતા. જેમા શરૂઆતના તબક્કે ખેત મંડળીઓ પાસેથી તબદિલ કરવામા આવતી જમીનમા બિનખેતી માટે જંત્રીના ૧૦ ટકા પ્રીમિયમ લઈને નિર્ણય કરવા કલેક્ટરોને આદેશ કરાયો હતો. જો કે બાદમા પહેલા આ પ્રીમિયમ સામે અને મંડળીની જમીનના ઉદ્દેશ્યના ભંગ મુદ્દે મહેસૂલી અધિકારીઓએ ગુંચવણો ઉભી કરતા તા. ૧૭-૨-૨૦૧૭ના રોજ સરકારે એક પત્ર મારફતે તમામ મંડળીઓની જમીનના કેસમા મંજૂરી ન આપવા આદેશ કર્યો હતો. જેની સામે અનેક હિત ધારકોએ હાઇકોર્ટમા પિટિશન કરી હતી.
હાઇકોર્ટે વર્ષ ૨૦૨૦મા ગુજરાત સરકારના આદેશને નિરસ્ત કરીને મંડળીઓની જમીનને કલમ -૬૩ એબી હેઠળ બિનખેતી માટે માન્ય ઠેરવવા આદેશ કર્યો હતો. જેને ૩૦મી ઓગસ્ટ ૨૦૨૨ના રોજ સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખ્યો છે. જમીન વ્યવસ્થાપન સંદર્ભે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી ગુજરાતમા વર્ષોથી ‘લોક’ થયેલી જમીનોમા હવે વિકાસની નવી ક્ષિત્રિજો ખુલશે.