![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/09/આવાસ-યોજનાના-લાભાર્થીઓના-નામ-કમી.jpg)
લાખણી તાલુકામાં આવાસ યોજનાના લાભાર્થીઓના નામ કમી થઈ જતા આક્રોશ
(રખેવાળ ન્યૂઝ) લાખણી, બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના સાચા લાભાર્થીઓના નામ કમી થઈ જતાં અરજદારોમાં રોષ ભભૂક્યો છે,રોષે ભરાયેલા લાભાર્થીઓએ તાલુકા પંચાયતમાં બેઠેલા અધિકારીઓની લાલિયાવાડી કારણે નામ કમી
થયા હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના અરજદારોએ જણાવ્યું છે કે ૨૦૧૭ ના વર્ષમાં યોજના ઓનલાઈન ચાલુ થઈ ત્યારે મકાન સહાય માટે અરજી કરવામાં આવી હતી. જે મુજબ ઓનલાઇન યાદીમાં નામ આવી ગયું હતું પરંતુ ગ્રાન્ટના અભાવે ત્રણ વર્ષ સુધી લાભ આપવામાં આવ્યો નહિ અને વર્ષ ૨૦૨૦-૨૧ માં ગ્રાન્ટ આવતા સરકાર દ્વાર તાલુકામાં બેઠેલા અધિકારીઓને
ઓનલાઈન યાદીમાં નામ ધરાવતા અરજદારોમાંથી સાચા અને ગરીબ અરજદારોનો સર્વે કરી લાભ આપવા માટે યાદી બનાવવા આદેશ કરાયો હતો. જેમાં અધિકારીઓને સ્થળ અને અરજદારની આર્થિક સ્થિતિ તપાસકાર્ય વગર ઓફિસમાં બેઠા બેઠા આડેધડ યાદી બનાવી કામગીરીમાં લાલિયાવાડી દાખવવામાં આવતા ગરીબ અને સાચા લાભાર્થીઓના નામ કમી થઈ ગયા છે. અધિકારીઓની નબળી કામગીરીનો ભોગ બનેલા લોકોએ ઉમેર્યું હતું કે આ બાબતે સરકાર અને સરકારના નેતાઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવે તો આવનારી ચુંટણીમા અધિકારીઓના કારણે પક્ષને નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે.