![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/08/થરાદના-રાહથી-લખાપુરા-વચ્ચેનો-રસ્તે2.jpg)
થરાદના રાહથી લખાપુરા વચ્ચેના રસ્તે પાણી ફરી વળતાં ગ્રામજનોને હાલાકી
(રખેવાળ ન્યૂઝ) થરાદ, થરાદમાં પસારથતી સુજલામ સુફલામ કાચી કેનાલમાં અગાઉના વરસાદમાં પાણીનો એકાએક વધારો થતાં અને લખાપુરાની સીમમાંથી પાણી આગળ વધતું નહી હોઇ થરાદ લાખણીનાં પાછળનાં ગામોમાં પાણી ફરી વળવાની દહેશત સર્જાઇ હતી. આથી દોડેલા થરાદના વહિવટીતંત્ર દ્વારા નાળું નાખીને કામચલાઉ પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. દરમિયાન શુક્રવારની સાંજના સુમારે સુજલામ સુફલામ કેનાલમાં એકાએક પાણીનો વધારો થવા પામ્યો હતો.
જેના કારણે લખાપુરાથી રાહ જવાનો રસ્તો બંધ થવા પામ્યો હતો. લખાપુરાના સુરેશભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે લખાપુરા, કમાળી, ભુરીયા, ભલાસરા અને માંગરોળ સહિતના ગામોના પ્રજાજનોને રાહ જવાનો આ શોર્ટ રસ્તો છે. આથી વાહનોની અવરજવર વધારે રહે છે. પરંતુ રસ્તો બંધ થતાં શાળામાં જતાં બાળકો અને દુધમંડળી જતા પશુપાલક સહિતોને હવે રાહ જવા માટે પાંચના બદલે પાંચેક કિમી વધારે ફરીને (ખેતરોના રસ્તે અને ભલાસરા ખેંગારપુરાથી) રાહ જવું પડે તેવી સ્થિતી સર્જાઇ છે.
જાે કે આગળ ખેડુત દ્વારા બંધો (કેનાલ વચ્ચેનો પાળો) કરવામાં આવ્યો હોવાથી જાે કુદરતી રિતે નિકાલ ન થાય તો પાણી ખેતરો માં ફરી વળવાની દહેશતથી આજુબાજુના ખેડુતોમાં ભય સાથે ફફડાટની લાગણી પ્રસરવા પામી હતી. જાે કે ખેડુતો દ્વારા બંધો (પાળો) તોડવા ન દેવાતાં ખેડુતોમાં રોષ પ્રસરવા પામ્યો હતો. આ અંગે મેઘપુરાના ખેડુત અને અગ્રણી ગોપાભાઇ ઠાકોરે જણાવ્યું હતું કે ત્રણ ગામોના ખેડુતોએ સાથે મળીને બંધો તોડાવીને પાણીનો નિકાલ કરાવ્યો હતો.