![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/08/The-News-DK-9.jpg)
મહેસાણા જિલ્લાના સવાલા ગામ પાસે 170થી વધુ મૃત મરઘા રોડ પર ફેંકી દેવાયા
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના સવાલા ગામ પાસે 170 થી વધારે મૃત મરઘા રોડ નજીક ફેંકી દેવામાં આવ્યા હતા. જેને લઈ ભારે ચકચાર જાગી હતી. આ મામલે સ્થાનિક લોકોએ જિલ્લા પશુપાલન વિભાગને જાણ કરતા મહેસાણા પશુપાલન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃત મરઘા પૈકી બે મરઘાના સેમ્પલ લઇ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યાં હતા. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના સવાલા ગામ પાસે રોડ ઉપર એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી.
જેમાં સવાલા ગામના રોડ નજીક કેટલાક શ્વાન મૃત મરઘાને લઈ દોડતા હોવાની જાણ સવાલા ગ્રામ પંચાયતને થતા વિસનગર પશુપાલન વિભાગ પશુ ચિકિત્સક ડોક્ટર પ્રશાંત પટેલ સહિત જિલ્લા પશુપાલન નાયબ નિયામક ડોક્ટર વિનોદ મકવાણા સહિત સભ્યની ટીમ ઘટના સ્તરે દોડી આવી હતી.
પશુપાલન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ સવાલા ખાતે મરઘાનો વેપાર કરતાં વેપારી દ્વારા વેપાર માટે આ મરઘા મંગાવ્યા હતા. જોકે, ગાડીનો અકસ્માત થવાથી મરઘા મરી ગયા હતા. આ અકસ્માતમાં મરણ પામેલા મરઘાનું યોગ્ય રીતે નિકાલ કરવાની જગ્યાએ સવાલા ખાતે રોડની સાઈડમાં નાખવામાં આવ્યા હતા.