બનાસકાંઠા જિલ્લામાં વીજમીટર નાબૂદ કરવા મામલે ખેડૂતો આકરા પાણીએ
બનાસકાંઠા જિલ્લામાં વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા મીટર પ્રથા નાબૂદ કરી સમાન વિજ દર કરવા અંગે કોઈજ પગલાં ન લેતા આખરે કંટાળેલા ખેડૂતો આગામી સમયમાં ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવા મજબુર બન્યા છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો
અત્યારે અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, ખાસ કરીને પાણીના તળ ૧૦૦૦ થી ૧૨૦૦ ફૂટ ઊંડા થઈ જતાં સિંચાઇની ગંભીર સમસ્યા સર્જાઇ છે. તો બીજી તરફ સરકાર દ્વારા હવે નવા વીજ કનેક્શનમાં મીટર આપવામાં આવી રહ્યા છે. જે મીટરમાં હોર્સ પાવર ટેરીફ આધારિત બિલ કરતા અઢીથી ત્રણ ઘણું વધુ બિલ આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.જિલ્લામાં કુલ ૯૪ હજાર જેટલા વીજ કનેક્શન આવેલા છે જેમાંથી ૫૦ હજાર જેટલા વીજ કનેક્શન મીટર ટેરીફ પ્રમાણે બિલ આપવામાં આવે છે. જેથી હોર્સ પાવર કરતા મીટર
વાળા ખેડૂતોને કરોડો રૂપિયા વધુ ચૂકવવા પડે છે, આ મામલે સાથે ભારતીય કિસાન સંઘ અને જિલ્લાના ખેડૂત આગેવાનો દ્વારા છેલ્લા એક વર્ષથી વારંવારરજૂઆત કરી હોવા છતાં પણ સરકારે આ બાબતે કોઈ જ ધ્યાન આપ્યું નથી. જેથી કંટાળેલા ખેડૂતો આગામી ૨૫ ઓગસ્ટ- ના રોજ ગાંધીનગર ખાતે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરશે. તેમ છતાં પણ જો સરકાર ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન નહીં કરે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વિરોધી મતદાન કરવાની ચીમકી ઉચ્ચારી છે.