વડગામ વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસમાં ભંગાણ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી વચ્ચે ગણતરીના મહિનાઓ બાકી છે. ત્યારે વડગામ કોંગ્રેસમાં ભંગાણ પડવા સાથે તાલુકાના છ ગામોના સરપંચો વિશાળ ટેકેદારો સાથે રવિવારે આમ આદમી પાર્ટીમાં જોડાતા તાલુકામાં વિધાનસભાની ચૂંટણીમાં નવા સમીકરણો સર્જાવા પામ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ વડગામ વિધાનસભાના મતક્ષેત્ર ભાગળમાં રવિવારે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી, પ્રદેશ માયનોરિટી સેલના પ્રમુખ આરીફભાઈ અંસારીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ તેમજ દલિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વડગામ તાલુકાના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની કાર્યશૈલીથી ઘણા સમયથી લઘુમતી સમાજ નારાજ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જેના કારણે લઘુમતી સમાજ આપ તરફ જઈ રહ્યો હોવાનું જાણવા મળે છે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી યાકુબખાન બિહારી, બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠનના પ્રમુખ દલપતભાઈ ભાટીયા તેમજ વડગામ અને પાલનપુર તાલુકાના છ ગામોના સરપંચો સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ તેમજ દલિત સમાજના કાર્યકરો કોંગ્રેસનો હાથ છોડી આપનું ઝાડુ પકડતા આવનાર વિધાનસભાની ચૂંટણીમાં નવા સમીકરણો જોવા મળી રહ્યા છે. વડગામ તાલુકામાં આમ આદમી પાર્ટીના વધતા વિસ્તારને લઈ કોંગ્રેસ માટે મુશ્કેલી સર્જી શકે તેવા
એંધાણ વર્તાઈ રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસના પાયાના કાર્યકરોની અવગણનાના કારણે અનેક કાર્યકર્તા નારાજ હોવાનું જાણવા મળે છે. કોંગ્રેસના સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આવનાર નજીકના સમયમાં મોટી સંખ્યામાં કાર્યકરો કોંગ્રેસ સાથે છેડો ફાડી આપમાં જોડાવાની તૈયારીઓ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.