દાંતીવાડાના રણાવાસમાં પાણીમાં ડૂબતા યુવાનને પોલીસે તરવૈયાઓની મદદથી બચાવી લીધો
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમના છેવાડાના ભાગ એટલે કે રણાવાસ ગામની સીમમાં ડેમમાં ભરાયેલા પાણીમાં ડુબતા માણસને પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી સહી સલામત બહાર કાઢી બચાવી લીધો છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસમાં પડેલા ભારે વરસાદના કારણે બનાસ નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થવાથી દાંતીવાડા અને આજુબાજુ ગામના લોકો ડેમનું પાણી જોવા આવતા હોય છે. ત્યારે ગઇકાલે સાંજના સુમારે દાંતીવાડા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે રણાવાસ ગામની સીમમાં ડેમમાં ભરાયેલા પાણીમાં કોઇ માણસ ડુબે છે તેવી વાત મળતાં તુરંત પોલીસ હાજર સ્થાનિક તરવૈયા ચંપુસિંહ ધુડસિંહ વાઘેલા તથા બાબરસિંહ જગતસિંહ વાઘેલાને લઇને રાણાવાસ પહોંચી હતી. પોલીસ પહોંચી ત્યારે અંધારૂ થઇ ગયું હતું અને પાણીમાંથી બચાવો….બચાવો….ની બુમો સંભળાતી હતી. જેથી પોલીસે તાત્કાલીક ઓપરેશન હાથ ધરી સ્થાનિક તરવૈયાઓને પાણીમાં ઉતારી ડુબતા માણસને બહાર કાઢી બચાવી લીધો હતો. તેનું નામ પુછતાં કીકાભાઇ સોનાભાઇ ડુંગાઇચા જણાવ્યું હતું. જે પાણીમાં તણાઇ ગયેલું છાપરા ઉપરનુ પ્લાસ્ટીકની ટાટ પતરી લેવા પાણીમા ઉતર્યો હતો.