![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/08/બંને-રિએક્ટર-રોડ-પર-2.jpeg)
હાશ…હવે બંને રિએક્ટર રોડ પર આવ્યાં, આજે કેનાલ ક્રોસ થવાની સંભાવના
(રખેવાળ ન્યૂઝ) થરાદ, બાર દિવસ નર્મદાનું પાણી બંધ કરીને થરાદ નગરમાંથી રાજસ્થાન જતાં ઐતિહાસિક રિએક્ટર પસાર કરાવવામાં આવી રહ્યા છે. જે નર્મદા કેનાલની બંન્ને બાજુની સાઇડો તોડીને તેના પર લોખંડનો ફોલ્ડિંગ પુલ બનાવીને પસાર કરવામાં આવનાર હોઇ તે કેવી રીતે થશેની જિજ્ઞાસા અને કુતુહુલવશ અનેક લોકોની નજર તેના પર મંડરાવવા પામી હતી.આ આતુરતાનો અંત આવતાં બુધવારે સાંજે બંને રિએક્ટરને વાવના વાંઢિયાવાસ પાસેથી થરાદ નર્મદા કેનાલ નજીક લાવવામાં આવ્યા હતા. મહાકાય રિએક્ટરના કારણે થરાદ વાવ હાઇવે માર્ગ પર ટ્રાફિક જામ થવા પામ્યો હતો. જાે કે થરાદ પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન કરાવીને બંને રિએક્ટરને નર્મદા કેનાલના પુલ નજીક પહોંચાડવામાં આવ્યા હતા. આ અંગે સુત્રોએ જણાવ્યું હતું કે સંભવતઃ ગુરુવારના સુમારે બંને રિએક્ટરને નર્મદા કેનાલ પર બનાવેલ ત્રણસો ટન વજનની ક્ષમતા વાળા હંગામી પુલ પરથી પસાર કરાવીને પેલી સાઈડ લઈ જવામાં આવશે.
નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નર્મદા કેનાલ પરનો પુલ બનાવીને કંપલીટ કરાવા છતાં પણ યાંત્રિક કારણોસર તેને કેનાલ પરથી પસાર કરાવવામાં વિલંબ થયો હતો. જેની વચ્ચે નગર અને પંથકમાં ભરચોમાસે પાણીની કટોકટી સર્જાતાં નર્મદા કેનાલમાંથી પાણી છોડવામાં આવ્યું હતું.જે પુલની અંદરથી પસાર થઇને આગળ વધતાં પાલિકા અને પાણી પુરવઠાએ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચાડવાનું શરુ કરતાં રાહત અનુભવી હતી.