![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/08/Rakhewal-180.jpg)
પોરબંદરમાં રેલી પુર્ણ કર્યા બાદ મુખ્યમંત્રીના કાફલામાં આખલાની એન્ટ્રીથી દોડધામ મચી
પોરબંદરસ સહિત રાજ્યભરમા રસ્તા પર રખડતા ગાય-આખલાઓને કારણે અવાર-નવાર અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે કડીમાં આયોજીત તિરંગા યાત્રામા ઉપસ્થિત પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલને રખડતા ઢોરે હડફેટે લેતા તેઓએ હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. ત્યારે ગઈકાલે શનિવારે પોરબંદરમાં પણ હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત શહેરમાં પહોંચેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કોન્વે અને રેલી દરમિયાન વચ્ચે બે આખલાઓ ઘુસી ગયા હતા. જો કે પોલીસે સમયસૂચકતા દાખવતાં કોઈ અકસ્માત નહોતો સર્જાયો.
જો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કોન્વે અને રેલીમાં આ આખલાઓ અથડાયા નહીં હોવાથી અકસ્માત ટળ્યો હતો. મુખ્યમંત્રી જ્યારે તિરંગા યાત્રા પૂર્ણ કરી પોતાના કોન્વે સાથે જઇ રહ્યા હતા. તે સમયે યુગાન્ડા રોડ પર આ ઘટના બની હતી. મુખ્યમંત્રીના કાર્યક્રમના રૂટ પર રખડતા પશુઓને દુર કરવા માટે પોરબંદર નગરપાલિકા દ્વારા શેરી-વિસ્તારોમાં ખાસ માણસો મુકવામાં આવ્યા હતા, જેથી કરીને રખડતા પશુઓ મુખ્યમંત્રીના કાર્યક્રમના રૂટ પર ના આવી શકે, તેમ છતા પણ મુખ્યમંત્રીના કાફલામા આખલો ઘુસી આવ્યાની ઘટના બનવા પામી હતી.