![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/08/Rakhewal-160.jpg)
ધનસુરા પંચાયત વિસ્તારમાં આવેલું 90 વિઘાનું તળાવ અમૃત સરોવર જાહેર કરાયું
હાલ દેશમાં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવની અલગ અલગ રીતે ઉજવણી થઈ રહી છે. ત્યારે ગુજરાતના કેટલાક મહત્વના તળાવ અમૃત સરોવર તરીકે જાહેર કરાયા છે, ત્યારે અરવલ્લીમાં ધનસુરા ગ્રામ પંચાયતનું તળાવ અમૃત સરોવર જાહેર કરાયું છે, જેની મુખ્યમંત્રી આગામી 15મી ઓગષ્ટે મુલાકાત લેશે.
હાલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉજવણી થઈ રહી છે, ત્યારે 76મો સ્વાતંત્ર્ય પર્વની 15 ઓગસ્ટની રાજ્ય કક્ષાની ઉજવણી મોડાસા ખાતે થવાની છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાવાનો છે. જેમાં ધનસુરા ગ્રામપંચાયત વિસ્તારમાં આવેલું સૌથી મોટું 90 વિઘાનું તળાવ રાજ્યનું મહત્વનું અમૃત સરોવર તરીકે નક્કી કરાયું છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ આ મહત્વના ધનસુરા ગ્રામ પંચાયત પાસે આવેલ અમૃત સરોવરની મુલાકાત લેવાના છે.
સમગ્ર કાર્યક્રમને પગલે ધનસુરાના અમૃત સરોવર ખાતે તૈયારીઓ લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે. તળાવની ફરતે તિરંગા લગાવવામાં આવ્યા છે. તળાવની પાસે બનાવેલી દીવાલને પણ તિરંગા રંગથી તૈયાર કરી આકર્ષણ જમાવવામાં આવ્યું છે. સરોવરમાં બોટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે.