અર્જુન તેંડુલકર મુંબઈની ટીમ છોડશે
નવીદિલ્હી, દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર મુંબઈની ટીમને છોડવા તૈયાર છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૫મી સિઝનમાં અર્જુન તેંડુલકર મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ડેબ્યૂ કરશે તેવી સંભાવના હતી પરંતુ તેને તક પ્રાપ્ત થઈ નહતી. અર્જુન તેંડુલકર આગામી સિઝનમાં ગોવાની ટીમ તરફથી રમે તેવી શક્યતા છે. ડાબોડી ઝડપી બોલર આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સનો હિસ્સો રહ્યો હતો. ૨૦૨૦-૨૧માં મુંબઈ માટે તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં હરિયાણા અને પુડુચેરી સામે બે મેચ રમી હતી. પ્રાપ્ત વિગતો મુજબ જૂનિયર તેંડુલકરે મુંબઈ ક્રિકેટ ઓસેસિઓશન (એમસીએ) પાસે ન વાંધા સર્ટિફિકેટ (એનઓસી) આપવા અરજી કરી છે.
એસઆરટી સ્પોર્ટ્સે એક નિવેદનમાં જણાવ્યું કે, અર્જુન માટે તેની કારકિર્દીના આ પડાવમાં તે વધુ સમય મેદાનમાં વિતાવે તે મહત્વપૂર્ણ છે. અર્જુન બીજી ટીમ તરફથી રમે છએ તો તેને વધુ પ્રતિસ્પર્ધી મેચો રમવાની તક પ્રાપ્ત થશે. તે પોતાના ક્રિકેટ કારકિર્દીના એક નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યો છે. અર્જુન તેંડુલકરે ત્રણ સત્ર પૂર્વે શ્રીલંકા વિરુદ્ધ ભારત અંડર ૧૯ તરફથી બે મેચ રમી હતી. તે સમયે અર્જુન મુંબઈની મર્યાદિત ઓવર માટેની સંભવિત ટીમમાં સામેલ હતો. અર્જુનને પોતાની ક્ષમતા પુરવાર કર્યા વગર જ આ સિઝનમાં મુંબઈની ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો તે સૌથી નિરાશાજનક બાબત રહી હતી. ગોવા ક્રિકેટ એસોસિએશનના એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, રાજ્યના સંભવિત ખેલાડીઓમાં અર્જુન તેંડુલકરનો સમાવેશ કરવામાં આવી શકે છે.
ગોવા ક્રિકેટ એસોસિએશનના સુરજ લોતલીકરે જણાવ્યું કે, અમે ડાબોડી ઝડપી બોલરની તલાશ કરી રહ્યા છીએ. એટલા માટે અમે અર્જુનને ગોવાની ટીમ સાથે જાેડાવા આમંત્રિત કર્યો છે. અમે સિઝનની શરૂઆત પૂર્વે પ્રેક્ટિસ મેચ રમીશું અને અર્જુન તેંડુલકર આ મેચમાં રમશે. આ મેચમાં તેના દેખાવને આધારે પસંદગીકારો તેને ટીમમાં સમાવવા અંગે ર્નિણય કરશે. અગાઉ મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરના પુત્ર રોહન ગાવસ્કર પણ અન્ય રાજ્ય તરફથી ક્રિકેટ રમ્યો હતો. રોહને ૧૮ વર્ષની વયે પશ્ચિમ બંગાળ તરફથી રમવાનું શરૂ કર્યું હતું અને તે સૌથી વધુ રન કરનાર બેટ્સમેન રહેવા ઉપરાંત કેટલીક સિઝનમાં ટીમનો સુકાની પણ રહ્યો હતો.