ધાનેરામાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં ચક્કાજામ
ધાનેરાથી રાજસ્થાન તરફ જતા મુખ્ય નેશનલ હાઇવે પર તુલસીનગર આગળ બેસી રસ્તો બંધ કર્યો હતો. જાે કે બાદમાં ધાનેરા પોલીસ દ્વારા વિરોધ કરનાર રહીશોને સમજાવી મુખ્ય હાઇવે માર્ગ પર વાહન વ્યવહાર ચાલુ કરાયો હતો. ત્યાર બાદ નગરપાલિકાનાં મુખ્ય અધિકારી આવતા આવતીકાલથી વરસાદી પાણી ના નિકાલ ની કામગીરી શરૂ કરવાની બાંહેધરી આપતા આખરે રહીશો શાંત પડ્યા હતા.
ધાનેરા શહેરની હાલત ચોમાસા ઋતુ દરમિયાનખરાબ થઈ જાય છે. એમાં ભલે મુખ્ય માર્ગ હોય કે પછી રહેણાક વિસ્તાર, મોટાભાગનાં રસ્તાઓ પર મસ મોટા ખાડા સાથે વરસાદી પાણીનો ભરાવ રહે છે. ધાનેરાથી રાજસ્થાન તરફ જતા મુખ્ય નેશનલ હાઇવે નજીક આવેલી તુલસીનગર વિસ્તારનાં રહીશોએ પોતાની માંગણી રજૂ કરવા માટે મુખ્ય હાઇવે માર્ગ પર ચક્કાજામ કરવાની ફરજ પડી હતી. તુલસી નગરમાં રહેતા નાગરિકોની સાથે દુકાન ચલાવતા વેપારીઓ વરસાદી પાણીના નિકાલ બાબતે છેલ્લા ૧૫ દિવસથી ધાનેરા નગર પાલિકામાં રજૂઆત કરતા આવ્યા છે. જાેકે તુલસીનગર વિસ્તારનાં નાગરિકોની સમસ્યા મામલે ના તો નગર પાલિકા પ્રમુખને સમય મળ્યો કે ના તુલસીનગર વોર્ડના નગર સેવકોને જેના કારણે આજે રોષે ભર્યાયેલી પ્રજા રસ્તા પર ઉતરી આવી હતી. અને જ્યાં સુધી તુલસીનગર આગળ વરસાદી ગટરના પાણીનો નિકાલ નહી આવે ત્યાં સુધી રસ્તો બંધ રાખી વિરોધ કરવાની તૈયારી બતાવી હતી. છેલ્લા ૧૫ દિવસથી વેપાર ધંધા બંધ થઈ ગયા છે ધાનેરા તુલસી નગર સોસાયટી આગળ આવેલી દુકાનો સુધી વરસાદી પાણી આવી જાય છે. જેના કારણે છેલ્લા ૧૫ દિવસથી વેપાર ધંધા બંધ થઈ ગયા છે. ગટરના પાણીમાં પસાર થઈ ગ્રાહકો દુકાન સુધી આવતા નથી જે મામલે વારંવાર રજૂઆત કરેલી હોવા છતાં પણ નગર પાલિકાના સત્તાધીશોનાં પેટનું પાણી હલતું નથી. મહિલાઓએ નગરપાલિકાને તાળા મારવાની ચીમકી ઉચ્ચારી તુલસીનગરમાં રહેતા પરિવારોના બાળકોને ગટરના પાણીમાંથી પસાર થવું પડે છે. એક બે દિવસ નહિ પણ છેલ્લા ૧૫ દિવસથી રજૂઆત મામલે કોઇ જવાબ ના મળતા આજે રહીશો ભારે રોષ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ રહીશોની સમસ્યા અને રજૂઆત મામલે રસ્તા પર બેસી વિરોધ કર્યો હતો. તુલસી નગરની મહિલાઓએ નગરપાલિકાને તાળા મારવાની ચીમકી ઉચ્ચારી છે. નેશનલ હાઇવે બંધ કરતા વાહનોની લાબી લાઇન લાગી નેશનલ હાઇવે બંધ કરતા લાબી વાહનોની લાઇન લાગી ગઈ હતી. આ મામલે ધાનેરા પોલીસને જાણ થતાં પોલીસે વિરોધ કરનારને રસ્તા પરથી ઉભા કરી નેશનલ હાઇવે પર વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો.ત્યાર બાદ નગર પાલિકા મુખ્ય અધિકારીએ પહોંચી રહીશોનીરજૂઆત મામલે આવતી કાલથી વરસાદી પાણીના નિકાલની કામગીરી શરૂ કરવાની ખાતરી આપતાં મામલો થાળે પડ્યો હતો.