![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/06/images-2.jpg)
શ્રીનગરમાં ત્રણ આતંકવાદી ઠાર, પહેલી વખત ૪ મહિનામાં ૪ આતંકી લીડર્સનો સફાયો.
જૂનીમાર વિસ્તારમાં રવિવારે સવારથી ચાલી રહેલું ઓપરેશન પૂર્ણ થઇ ગયું છે. સુરક્ષાદળોએ એક મકાનમાં છૂપાયેલા ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. હજુ સુધી તેમની ઓળખ જાહેર કરવામા આવી નથી. જોકે જમ્મૂ કાશ્મીર પોલીસે કહ્યું કે આ આતંકવાદીઓ ઠાર થવા સાથે ઇતિહાસમાં પહેલી વાર બન્યું છે કે ૪ મુખ્ય આતંકવાદી સંગઠનોના ચીફનો પણ ૪ મહિનામાં સફાયો થઇ ગયો છે.
IGએ જણાવ્યું કે શ્રીનગરમાં જે આતંકવાદીઓને મારવામા આવ્યા છે તેમાથી ૨ લોકલ ટેરરિસ્ટ હતા. ઓપરેશન દરમિયાન તેઓ છૂપાવા માટે એક મકાનમાં ઘુસી ગયા હતા. અમે ત્યાં અમુક સન્માનનીય લોકોને કહ્યું કે તેઓ આતંકવાદીઓને સમર્પણ કરવા માટે કહે. જોકે આતંકવાદીઓએ તેમની વાત માનવાની જગ્યાએ ગ્રેનેડથી સુરક્ષાદળો પર હુમલો કર્યો હતો. ત્યારબાદ તેમને એન્કાઉન્ટરમાં ઠાર કરવામા આવ્યા હતા.
વિજયકુમારે જણાવ્યું કે કઠુઆમાં જે ડ્રોનને BSFએ તોડી પાડ્યું હતું તે અલીભાઇના નામે હતું. તે જૈશનો આતંકવાદી છે અને સાઉથ કાશ્મીરમાં એક્ટિવ છે. તેમાં M4 રાઇફલ હતી. અમે રેકોર્ડ ચેક કર્યા તો તેમાં પુલવામાના આતંકવાદી ફુરકાનનું નામ સામે આવ્યું છે. એવું બની શકે છે કે સ્૪ રાઇફલ ફુરકાનને પહોંચાડવા માટે પાકિસ્તાની ડ્રોનમાં મોકલવામા આવી હોય. કુલગામમાં પણ એક જૈશના આતંકવાદી પાસેથી એકે-૪૭ અને M4 કાર્બાઇન કબ્જે કરવામા આવી છે.
એક દિવસ પહેલા જમ્મૂ-કાશ્મીરના કઠુઆના પનસર વિસ્તારમાં BSFએ એક પાકિસ્તાની ડ્રોન શૂટ કર્યું હતું. પાકિસ્તાને આતંકવાદીઓ માટે આ ડ્રોનમાં હથિયારો મોકલ્યા હતા. તેમાં એક અમેરિકન રાઇફલ, બે મેગ્ઝીન અને અન્ય હથિયાર હતા. આ કન્સાઇનમેન્ટ કોઇ અલીભાઇના નામ પર આવ્યું હતું. તે ભારતીય વિસ્તારમાં ૨૫૦ મીટર અંદર હતું. BSFના જવાનોએ ૯ રાઉન્ડ ફાયર કરીને ડ્રોન તોડી પાડ્યું હતું.