જાણદી પાટીયા નજીક રોડ પર પાણી ભરાતાં વાહન બંધ થતાં ચાલકો પરેશાન
થરાદ સાંચોર હાઇવે પર જાણદી ગામની સીમમાં સામાન્ય વરસાદથી ભારતમાલાના સર્વિસ રોડ પર પાણી ભરાતાં વાહનચાલકોને ચાલવું બન્યું મુશ્કેલ બન્યું છે. સામાન્ય વરસાદમાં આ સ્થિતિ છે તો બે પાંચ ઇંચ વરસાદ સાથે ખાબકવાથી ભવિષ્યમાં શું થશે તેને લઈને ગ્રામજનોમાં ભારે રોષની લાગણી પ્રસરેલી જાેવા મળી રહી છે. થરાદ સાંચોર હાઇવે પર ભારતમાળા રોડની કામગીરી ચાલી રહી છે.આ રોડ ૬ થી ૧૦ ફૂટની ઊંચાઈ પર બનતો હોવાના કારણે પૂર્વથી પશ્ચિમ દિશામાં આવતા પાણીનું કુદરતી વહેણ ઠેર ઠેર અવરોધાઈ રહ્યું છે. જે અંગેની દહેશત રોડ પરના ગામોના ખેડૂતો દ્વારા ભારતમાળાની કામગીરી શરૂ થવાની સાથે જ વારંવાર આવેદનપત્રો આપીને વ્યક્ત કરી રહ્યા હતા. તેમ છતાં પણ વહીવટી તંત્ર અને ભારતમાળાની કોણ એજન્સી દ્વારા ધરાર અવગણના કરવામાં આવતાં અત્યારે સામાન્ય વરસાદમાં પણ સર્વિસ રોડ પર દોઢથી બે ફૂટ પાણીનો ભરાવો થવા પામ્યો છે.જેના કારણે છ રાજ્યોમાંથી અવરજવર કરતાં વાહનો અને થરાદ તાલુકાના રાજસ્થાન બોર્ડર તરફ આવેલા તમામ ગામોના પ્રજાજનો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પાણીના કારણે દ્રી અને ફોરચક્રીય વાહનોના એન્જિન તેમજ સાઇલેન્સરમાં પાણી ભરાઈ જતું હોવાથી વાહનો બંધ પડી જતાં અજાણ્યા માર્ગો પર આનાથી મોટી સમસ્યા બીજી શું હોઈ શકે તેવો આક્રોશ વાહન ચાલકોએ વ્યક્ત કર્યો હતો.