વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આદિવાસીઓનો સર્વાગી વિકાસ થયો : મંત્રી
બનાસકાંઠા જિલ્લાના દાંતા આદર્શ નિવાસી શાળા ખાતે ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના મંત્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, પ્રકૃતિના પૂજક આદિવાસીઓના સર્વાગી વિકાસ માટે રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ છે. સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસી સમાજે અનેક બલિદાન આપ્યા છે એમ કહી મંત્રીશ્રીએ તેમની રાષ્ટ્રભાવનાને બિરદાવી હતી. મંત્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું કે, અંબાજીથી ઉમરગામ સુધીના પૂર્વપટ્ટીના ડુંગરાળ વિસ્તારમાં વસતો આદિવાસી સમાજ અન્ય સમાજની હરોળમાં ઉભો રહી શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. જેનાથી ટ્રાયબલ વિસ્તારમાં ખુબ ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે. આદિજાતિ વિસ્તારમાં સરસ પાકા રસ્તાઓ, પીવાના પાણીની સુવિધા, બાળકોને ભણવા માટે શાળાના ઓરડાઓ, આરોગ્યની સુવિધાઓ સહિત પ્રવાસનની સાથે રોજગારીની તકો વધે તે દિશામાં આ સરકારે કામ કર્યુ છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે, તકાળમાં સાંજે જમવાના સમયે વીજળીના ફાંફા હતા, આજે સમગ્ર રાજ્યમાં અંતરીયાળ ગામડાઓ સુધી ૨૪ કલાક વીજળી મળે છે જેનાથી ગ્રામ્ય વિસ્તારમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. તેમણે ઉમેર્યુ કે, છેલ્લા બે દાયકામાં આપણા ગુજરાતે તમામ ક્ષેત્રોમાં હરણફાળ વિકાસ કર્યો છે.
આજે રાષ્ટ્રપતિ તરીકે આદિજાતિ સમાજની શિક્ષિત મહિલા બિરાજમાન થયા આ પ્રસંગે મંત્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું કે, ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગામડાઓનો સર્વાગી વિકાસ કરીને આત્મા ગામડાનો પરંતુ સુવિધા શહેરની આપવા આ સરકાર કટીબધ્ધ છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આદિવાસીઓનો સર્વાગી વિકાસ થયો છે. દેશમાં આદિવાસી સમાજની ૧૫ ટકા વસતી છે.
આઝાદી પછી દેશના સર્વોચ્ચ સ્થાને રાષ્ટ્રપતિ તરીકે આદિજાતિ સમાજની શિક્ષિત મહિલા શ્રીમતી દ્રોપદી મુર્મુ બિરાજમાન થતાં આજે સમગ્ર દેશના આદિવાસીઓ આનંદ અને ગૌરવ અનુભવે છે. રાષ્ટ્રપતિશ્રીના જીવનમાંથી પ્રેરણા મેળવી બાળકોને ઉચ્ચ શિક્ષણ સુધી ભણાવવા મંત્રીએ અપીલ કરી હતી. અગ્રણી માધુભાઇ રાણાએ જણાવ્યું કે, રાજ્યના આદિજાતિ વિસ્તારોના ઝડપી સર્વાંગી અને વિકાસ માટે સરકારે વિરાટ પાયે કામગીરી કરી છે જેનાથી આદિજાતિઓનું જીવનધોરણ ઉંચુ આવ્યું છે. તેમણે દિકરા-દિકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા પર ભાર મુકતા જણાવ્યું કે, આજે આદિજાતિ સમાજના દિકરા- દિકરીઓ ઉચ્ચ અભ્યાસ કરીને ર્ડાક્ટર બને છે તે સરકારશ્રીની
નીતિઓને આભારી છે.
તેજસ્વી તારલાઓનું સન્માનપત્ર આપી સન્માન કરાયું ઝાલોદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત
લોકોએ નિહાળ્યુ હતું. કાર્યક્રમ દરમિયાન મંત્રી અને મહાનુભાવોના હસ્તે આદિજાતિ લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભો અને તેજસ્વી તારલાઓનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેકટર આનંદ પટેલ, જિલ્લાં વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી પાયલબેન મોદી, અગ્રણીઓ લાધુભાઇ પારઘી, હેમરાજભાઇ રાણા, દશરથસિંહ પરમાર, નિલેશભાઇ, પ્રાયોજના વહીવટદાર એમ.બી. ઠાકોર, આદિજાતિ મદદનીશ કમિશ્નર બી.એચ.ચૌધરી, દાંતા મામલતદાર તથા આદિજાતિ અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં આદિજાતિ ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.