![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/06/Untitled-57.jpg)
સુપ્રિમ કોર્ટે કહ્યું- કોરોના વચ્ચે રથયાત્રાની પરવાનગી અપાશે તો ભગવાન જગન્નાથ અમને માફ નહીં કરે.
સુપ્રીમ કોર્ટે ઓરિસ્સાના પુરીમાં ૨૩ જૂનના રોજ શરૂ થનાર ભગવાન જગન્નાથની રથયાત્રા ઉપર ગુરુવારે પ્રતિબંધ મૂકી દીધો છે. ચીફ જસ્ટિસ એસએ બોબડેએ કહ્યું કે જો કોરોના વચ્ચે આ વર્ષે રથયાત્રાની પરવાનગી આપીશું તો ભગવાન જગન્નાથ અમને માફ નહીં કરે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યારે મહામારી ફેલાયેલી હોય તો આવી રથયાત્રાને પરવાનગી ન આપી શકાય, જેમા મોટી સંખ્યામાં ભીડ આવતી હોય. લોકોનું સ્વાસ્થ્ય અને તેઓની રક્ષા માટે આ વર્ષે રથયાત્રાની પરવાનગી ન આપી શકાય. ચીફ જસ્ટિસની બેંચે ઓરિસ્સા સરકારને કહ્યું કે આ વર્ષે રાજ્યમાં કોઈપણ જગ્યાએ રથયાત્રા સાથે જોડાયેલા કાર્યક્રમને પરવાનગી ન આપવી.
આ રથયાત્રા ૨૩ જૂને નિકળનાર હતી. તેમાં વિશ્વભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ જોડાય છે. ભુવનેશ્વરના ઓરિસ્સા વિકાસ પરિષદે કરેલી જાહેર હિતની અરજીમા રથયાત્રાને મુલત્વી રાખવાની રજૂઆત કરવામાં આવી હતી. બીજી તરફ ભારતીય વિકાસ પરિષદના સુરેન્દ્ર પાણિગ્રહીએ ઓરિસ્સા હાઈકોર્ટના ૯ જૂનના આદેશ સામે અપીલ કરી છે.
હાઈકોર્ટે કહ્યું હતું કે એ વાત રાજ્ય સરકાર પર નિર્ભર છે કે તે ધાર્મિક કાર્યક્રમને થવા દેવા માંગે છે કે નહિ પરંતુ તે કાર્યક્રમને પરવાનગી આપે છે તો તેણે કોરોનાવાઈરસના ફેલાવાને રોકવા સંબધિત તમામ આદેશનું પાલન કરવું પડશે. આ સિવાય રથને વ્યક્તિઓની જગ્યાએ મશીન કે હાથીઓ જેવા માધ્યમોથી ખેંચવા પર વિચાર કરવો જોઈએ.