![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/06/RWRWRW.png)
ભડથ યુવક નહેર પ્રકરણઃ બે સામે હત્યાનો ગુનો દાખલ કરાયો
શનિવારે સવારે થરાદની મુખ્ય નર્મદા નહેરમાંથી ડીસા તાલુકાના ભડથના યુવકનો મૃતદેહ ગળું કપાયેલ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં ડીસા તાલુકાના કંસારી ગામના બે યુવકોનાં નામ ખુલતાં ચકચાર મચી જવા પામી હતી. થરાદ પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે બંન્ને સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ કામગીરી હાથ ધરી હતી.
થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં શનિવારની સુમારે સુરજસિંગ જોગજી વાઘેલા (દરબાર) રહે. વાઘેલાવાસ (ભડથ) ઉ.વ.૨૧ નો મૃતદેહ ગળા અને ગાલના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા વાગેલી હાલતમાં મળી આવ્યો હતો.
આ બનાવ અંગે મૃતકના પિતા જોગજી સ્વરૂપજી વાઘેલા (દરબાર)એ થરાદ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે ગત તા.૧૧/૦૬/૨૦૨૦ ના સાંજના સાત વાગ્યાના સુમારે સુરજસિંગ ઘેરથી મોટરસાઇકલ લઇને તેના મિત્રો શૈલેષજી ભુતાજી રાજપુત તથા રોહીતજી ભુતાજી રાજપુત રહે. કંસારી તા. ડીસાને મળવા જવાનું કહીને નિકળ્યો હતો. જે મોડા સુધી ઘરે પરત આવ્યો ન હતો. બીજા દિવસે સવારે બંન્ને મિત્રોના નંબર મેળવીને પુછતાં તેમણે સુરેશ અમારૂ જીપડાલું લઇને થરાદથી ક્યાંક જતો રહ્યો હોવાનું અને તેઓ કંસારી આવી ગયા હોવાનું જણાવ્યું હતું.
ત્યાર બાદ નેનાવા ચેકપોસ્ટ બાજુ ગયેલ હોવાનું જણાવતાં પરિવાર અને રોહીતે નેનાવા બાજુ જીપડાલાના સીસીટીવી ફુટેજ પણ ચેક કર્યા હતા. જેની વચ્ચે શનિવારના બપોરે થરાદની નહેરમાંથી મૃતદેહ મળી આવ્યાના ફોટા વાયરલ થતાં પરિવારે થરાદ આવીને તપાસ કરતાં સાચી હકીકત જાણવા મળી હતી.