‘અગ્નિપથ યોજના’ની જાહેરાત, જાણો સેનામાં જોડાનારા જવાનોને કેટલી મળશે સેલરી
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સેનામાં ભરતી પ્રક્રિયામાં મોટા ફેરફારો માટે ‘અગ્નિપથ ભરતી યોજના’ની જાહેરાત કરી છે. રાજનાથ સિંહે કહ્યું કે, અગ્નિપથ ભરતી યોજના (agneepath scheme india) હેઠળ યુવાનોને સેનામાં 4 વર્ષ માટે ભરતી કરવામાં આવશે. આ સાથે તેમને નોકરી છોડતી વખતે સર્વિસ ફંડ પેકેજ પણ મળશે. આ યોજના હેઠળ સેનામાં જોડાનારા યુવાનોને અગ્નિવીર કહેવામાં આવશે.
મોટાભાગના જવાનોને 4 વર્ષ બાદ મુક્ત કરવામાં આવશે
આ યોજના અંતર્ગત યુવાનોને 4 વર્ષ માટે સેનામાં ભરતી કરવામાં આવશે. આ દરમિયાન અગ્નિવીરોને આકર્ષક વેતન મળશે. સેનાની 4 વર્ષની નોકરી બાદ યુવાનોને ભવિષ્ય માટે વધુ તકો આપવામાં આવશે. 4 વર્ષની નોકરી બાદ સેવા નિધિ પેકેજ મળશે. આ યોજના હેઠળ ભરતી કરવામાં આવનારા મોટાભાગના જવાનોને 4 વર્ષ બાદ મુક્ત કરવામાં આવશે. જો કે કેટલાક જવાનો પોતાની નોકરી ચાલું રાખી શકશે. 17.5 વર્ષથી 21 વર્ષના યુવાનોને આ યોજના હેઠળ તક મળશે.
અગ્નિવીર શહીદ થાય તો શું?
10 અઠવાડિયાથી 6 મહિના સુધીની ટ્રેનિંગ હશે. 10-12 પાસ યુવાનો આવેદન કરી શકશે. તો આગામી 90 દિવસમાં અગ્નિવીરોની પહેલી ભરતી કરવામાં આવશે. જો કોઈ અગ્નિવીર દેશ સેવા દરમિયાન શહીદ થઈ જાય છે તો તેના પરિવારને સેવા નિધિ સહિત 1 કરોડ રૂપિયાથી વધારેની રકમ વ્યાજ સહિત મળશે. આ ઉપરાંત બાકી બચેલી નોકરીનું પણ વેતન આપવામાં આવશે. તો કોઈ અગ્નિવીર ડિસિબલ થઈ જાય છે તો તેને 44 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે. આ ઉપરાંત બાકી બચેલી નોકરીનું પણ વેતન મળશે. આખા દેશમાં મેરિટના આધારે ભરતીઓ થશે. જે લોકો આ ભરતી પરીક્ષામાં પસંદગી પામશે તેમને 4 વર્ષ માટે નોકરી મળશે.
11.7 લાખ રૂપિયાની સેવા નિધિ આપવામાં આવશે
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, અગ્નિપથ યોજના હેઠળ યુવાનોને પહેલા વર્ષે 4.76 લાખનું વાર્ષિક પેકેજ મળશે. ચોથા વર્ષ સુધી વધીને 6.92 લાખ સુધી પહોંચી જશે. આ ઉપરાંત અન્ય રિસ્ક અને હાર્ડશિપ ભથ્થા પણ મળશે. 4 વર્ષની નોકરી બાદ યુવાનોને 11.7 લાખ રૂપિયાની સેવા નિધિ આપવામાં આવશે. આના પર કોઈ ટેક્સ નહીં લાગે. આ યોજનાથી દેશની સેવા કરવાની ભાવના રાખનારા યુવાનોને તક મળશે. સેનામાં શૉર્ટ અને લોન્ગ ટર્મ નોકરીની તક મળશે અને ત્રણેય સેનામાં યુવાનોની ભાગીદારી વધશે.