કાશ્મીરમાં વધુ એક હિંદુ કર્મચારીની હત્યા, બેંક મેનેજરને આતંકવાદીઓએ મારી ગોળી
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ફરી એકવાર એક મોટી આતંકી ઘટના સામે આવી છે. અહીં આતંકવાદીઓએ એક બેંકમાં ઘૂસીને બેંક મેનેજરને ગોળી મારી દીધી હતી. મેનેજરને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.
સુરક્ષા દળોએ વિસ્તારને ઘેર્યો
બીજી તરફ બડગામ બાદ કુલગામમાં કાશ્મીરી પંડિતો બાદ બિન-કાશ્મીરીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ગુરુવારે બેંક મેનેજરની હત્યા બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓની શોધખોળ ચાલું છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓને લઈને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સાથે બેઠક કરવા જઈ રહ્યા છે.
હત્યા કરીને આતંકવાદીઓ ફરાર
આવી સ્થિતિમાં કુલગામની ઘટનાએ ફરી પ્રશ્નો ઉભા કર્યા છે. મળતી માહિતી મુજબ, ગુરુવારે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના આરેહ ગામમાં આતંકવાદીઓ એક બેંકમાં ઘૂસ્યા હતા. આ દરમિયાન આતંકવાદીઓએ બેંક મેનેજરની ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. ત્યાર પછી આતંકીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
મૃતક મૂળ રાજસ્થાનનો રહેવાસી
બીજી તરફ બેંક મેનેજરને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. કુલગામમાં થયેલા આતંકી હુમલામાં માર્યા ગયેલા બેંક મેનેજર વિજય કુમાર રાજસ્થાનના રહેવાસી છે.