નેવાંના પાણી મોભે ચડાવતા થરાદના પંથકના ધરતી પુત્રો
રખેવાળ ન્યુઝ થરાદ : થરાદમાં આવેલી નર્મદા મુખ્ય કેનાલથી ૧૩ કિલોમીટર દુર આવેલા તાલુકાના કરણપુરા અને ભોરડુ ગામ સુધી ખેડુતો સિંચાઈનું પાણી લઇ આવ્યા હતા. ઘેસડા ગ્રામપંચાયતના સરપંચ અને માર્કેટના ડીરેક્ટર અને વેપારી જેતસીભાઇ પટેલે જણાવ્યું હતું કે આ કામગીરીમાં પાંચના વ્યાસની ૧૮૫૦ પાઇપોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક પાઇપની કિંમત ૧૨૨૫ બજાર કિંમત પ્રમાણે માત્ર પાઇપોનો જ ખર્ચ ૨૨,૬૬,૦૦૦ થવા પામ્યો હતો. તદુપરાંત જેસીબી મશીનની મદદથી ખોદાઈ તેમજ આઇસર કંપનીનું મશીન,પંખો તેમજ હસ્તુ વિગેરે મળીને કુલ રૂપિયા ૩૦ લાખ જેટલો અંદાજીત ખર્ચ થવા પામ્યો હતો. આ પ્રકારે થરાદના કરણપુરામાં ૪ લાઈન તેમજ ભોરડુમાં ૧ લાઈન ૨૨૦૦ પાઇપ સાથે તેમજ ઘેસડામાં ૪ લાઈન ૧૨૫૦ પાઇપ સાથે ગણતરી કરવામાં આવતો ખેડુતો દ્વારા દોઢ કરોડ રૂપીયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકા મથક થરાદમાં પસાર થતી નહેરથી પશ્ચિમ દિશામાં (કેનાલથી આથમણું) સિંચાઇ માટે પાણી મળે છે. પરંતુ પુર્વપટ્ટાનાં ૯૭ ગામોને સિંચાઇ માટે નર્મદાનું પાણી મળતું નથી. આથી આવી રીતે કરોડો રૂપીયાનો ખર્ચો કરીને ખેતરો પાવા માટે પાણી ખેતરો સુધી લઈ જવું પડે છે.
આ અંગે તાલુકાના જેતસીભાઇ પટેલ,સરપંચ એસોસિયેશનના પ્રમુખ કાળાભાઇ પટેલ સહિત અનેક ખેડુત અગ્રણીઓએ જણાવ્યું હતું કે થરાદના પુર્વધારાસભ્ય અને વર્તમાન સાંસદ પરબતભાઇ પટેલ જ્યારે સિંચાઈમંત્રી હતા. એ વખતે એમણે સરહદી થરાદ સહિતના વિસ્તારોના ખેડુતો માટે સીપુયોજના આપી હતી. જે ધીમી ગતીએ ચાલી રહેલી કામગીરી તાત્કાલિક પુરી થાય અને થરાદ વિસ્તારના તળાવો ભરાય તો પણ બોર (ટયુબવેલ) ના પાણી ટકી રહે માટે તાત્કાલિક સીપુ ચાલુ કરવાની સરકારને વિનંતી પણ કરી હતી.
Tags Banaskantha nenava