![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/05/bhutan.jpg)
શ્રીલંકા બાદ હવે ભારતના આ પડોશી મિત્ર દેશમાં ખાદ્ય સંકટ
છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન વૈશ્વિક વિકાસમાં થયેલા ફેરફારોને કારણે ઘણા દેશોમાં ખાદ્ય સંકટ સર્જાયું છે. પાડોશી દેશ શ્રીલંકા પહેલાથી જ અભૂતપૂર્વ સંકટનો સામનો કરી રહ્યું છે. હવે ભારતના અન્ય પાડોશી દેશ ભૂટાનમાં ખાદ્ય પદાર્થોની અછત છે. ખાસ કરીને ભૂટાનના ગ્રામીણ વિસ્તારોમાં લોકો ખાવા-પીવાની અછતનો સામનો કરી રહ્યા છે. ભૂટાનના નાણામંત્રી લોકનાથ શર્માએ ગુરુવારે સમાચાર એજન્સી રોયટરને આ અંગે માહિતી આપી હતી.
ભૂટાનની અર્થવ્યવસ્થાને મોટો ફટકો
ભૂટાનની વસ્તી 8 લાખથી ઓછી છે, પરંતુ આ નાનકડો દેશ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. 3 મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલ અને અનાજના વૈશ્વિક ભાવ આસમાને પહોંચી ગયા છે. આના કારણે મહામારીની માર બાદ રિકવરીના માર્ગ પર પાછા ફરેલા ભૂટાનની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે.
ભૂટાને ભારત પાસેથી 30.35 મિલિયન ડોલરનું અનાજ ખરીદ્યું હતું
ભૂટાન એ પાડોશી દેશોમાંનો એક છે જે ખાદ્ય પદાર્થોની સ્થાનિક માંગને પહોંચી વળવા માટે ભારત પર નિર્ભર છે. ભૂટાને ગયા વર્ષે ભારત પાસેથી 30.35 મિલિયન ડોલરનું અનાજ ખરીદ્યું હતું. ભૂટાન મુખ્યત્વે ભારતમાંથી ચોખા અને ઘઉં ખરીદે છે. જોકે, ભારતે ઘઉં અને ખાંડની નિકાસ પર નિયંત્રણો લાદ્યા છે તેના કારણે ભૂટાનની ચિંતા વધી ગઈ છે. ભૂટાનના નાણામંત્રીએ પણ આ ચિંતા વ્યક્ત કરી હતી.
પડોશી દેશોમાં અનાજની નિકાસ ચાલું રાખશે ભારત
કોઈપણ દેશનું નામ લીધા વિના શર્માએ કહ્યું હતું કે, ‘ખાદ્ય પદાર્થોની અછત ફુગાવાને વધુ વધારી શકે છે. કેટલાક દેશોએ અનાજની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. આની શું અસર થશે, તે અંગે સરકાર ચિંતિત છે. જો કે, ભારતે સ્પષ્ટ કહ્યું છે કે તે પડોશી દેશોમાં અનાજની નિકાસ કરવાનું ચાલું રાખશે. આ સાથે ભારતે સંકટનો સામનો કરી રહેલા દેશોને અનાજ આપવાનું પણ આશ્વાસન આપ્યું છે.
ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ વધશે તો સ્થાનિક અર્થતંત્રને થશે નુકસાન
ભારતના નિર્ણયથી ચિંતિત થનારા શર્મા એક માત્ર નાણામંત્રી નથી. રોઈટર્સના સમાચારમાં કહેવામાં આવ્યું છે કે, ભૂટાનની ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના મહાસચિવ પણ આને લઈને ચિંતિત છે. મહાસચિવ સંગે દોરજી કહે છે કે, ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ વધશે તો સ્થાનિક અર્થતંત્રને નુકસાન થશે. તેમણે કહ્યું, અમે ખાદ્ય પદાર્થોના પુરવઠાને લઈને ખૂબ જ ચિંતિત છીએ. મોંઘવારી પછી આ સંકટ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવશે.