![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/06/Untitled-28.jpg)
સુરતમાં પોઝિટિવ કેસનો આંક 2419 પર પહોંચ્યો, મૃત્યુઆંક 89 અને રિકવર થનાર દર્દીની સંખ્યા 1519
સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 2419 થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો મૃત્યુઆંક 89 થઈ ગયો છે. ગત રોજ શહેરમાંથી 39 અને જિલ્લામાંથી 4 મળી કુલ 43 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા 1519 પર પહોંચી ગઈ છે.
નવા નોંધાયેલા પોઝિટિવ કેસોની વાત કરીએ તો ખાસ કરીને સિવિલ હોસ્પિટલના ફ્રન્ટલાઈન વોરિયર્સ વધુ સંક્રમિત થઈ રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી સતત સિવિલ હોસ્પિટલના તબીબો અને અન્ય કર્મચારીઓ ઝપટમાં આવી રહ્યા છે. મંગળવારે પણ સિવિલ હોસ્પિટલના વધુ એક તબીબ તેમજ મેટરનનો કોરોનાના લક્ષણો બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ પેટ્રોલપંપ કર્મચારી, ચાની લારીવાળા, સ્ટેશનરી અને મોબાઈલ દુકાનદાર તેમજ શાકભાજી વિક્રેતા જેવા સુપર સ્પ્રેડરોનો પણ સમાવેશ થયો છે.
લિંબાયત વિસ્તારમાં રહેતા અને પરવત પાટિયા નજીક શાકભાજીનો ધંધો કરતા શાકભાજી વિક્રેતાનો રિપોર્ટ મંગળવારે પોઝિટિવ આવ્યો છે. તેવી જ રીતે લિંબાયતના મદનપુરામાં વિસ્તારમાં ચાની લારી ચલાવતા એક સ્ટોલ ધારકને પણ કોરોનાના લક્ષણો બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
નવી સિવિલમાં તબીબ સહિતના હેલ્થ કર્મચારીઓમાં સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત નવી સિવિલમાંથી કેસ સામે આવી રહ્યા છે. મંગળવારે વધુ એક તબીબને કોરોનાના લક્ષણો બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેવી જ રીતે નવી સિવિલમાં ફરજ બજાવતા મેટરનને પણ કોરોનાના લક્ષણો બાદ મંગળવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
લિંબાયત વિસ્તારમાં રહેતા અને રામપુરા પેટ્રોલપંપ પર કામ કરતા કર્મચારીને કોરોનાના લક્ષણો બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેવી જ રીતે કતારગામમાં એક સ્ટેશનરીની દુકાનવાળા, મોબાઈલ દુકાનદારનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.