રાજદ્રોહના કાયદા પર સુપ્રીમ કૉર્ટે કસ્યો ગાળિયો, નહીં નોંધી શકાય નવા કેસ
દેશદ્રોહના કાયદાને લઇને સુપ્રીમ કોર્ટે કડક ચુકાદો આપ્યો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે જ્યાર સુધી IPCની કલમ 124-એની રી-એગ્ઝામિન પ્રોસેસ પૂર્ણ ના થઈ જાય ત્યાં સુધી આ અંતર્ગત કોઈ કેસ નોંધાશે નહીં.
કાયદાની જોગવાઈઓ પર પુનર્વિચારની મંજૂરી
કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં 152 વર્ષ જૂના રાજદ્રોહ કાયદા એટલે કે 1870માં બનેલી IPCની કલમ 124-A પર જવાબ દાખલ કર્યો હતો. કોર્ટે કેન્દ્રને આ કાયદાની જોગવાઈઓ પર પુનર્વિચાર કરવાની મંજૂરી આપી. આ પહેલા સરકરા તરફથી સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, IPCની કલમ 124-એ પર રોક ન લગાવવામાં આવે. જો કે તેમણે એ પ્રસ્તાવ આપ્યો કે ભવિષ્યમાં આ કાયદા અંતર્ગત FIR પોલીસ અધિક્ષકની તપાસ અને સંમતિ પછી જ નોંધવામાં આવે.
રાજદ્રોહના કેસમાં 10થી વધુ અરજી સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી
કેન્દ્રએ કહ્યું કે, જ્યાં સુધી પેન્ડિંગ કેસોનો પ્રશ્ન છે, સંબંધિત અદાલતોને આરોપીઓના જામીન પર ઝડપથી વિચાર કરવાનો નિર્દેશ આપવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજદ્રોહના કેસોમાં કલમ 124-A સંબંધિત 10થી વધુ અરજીઓને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે.
કાયદાને નાબૂદ ન કરવો જોઈએ – કેન્દ્ર
ગયા ગુરુવારે સુપ્રીમ કોર્ટે રાજદ્રોહ કાયદાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી હતી. આ દરમિયાન કેન્દ્ર વતી દલીલ કરવામાં આવી હતી કે આ કાયદાને નાબૂદ ન કરવો જોઈએ, પરંતુ તેના માટે નવી માર્ગદર્શિકા બનાવવી જોઈએ.