![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/06/Untitled-20.jpg)
સુરત : કોરોના 2108 પોઝિટિવમાંથી 1341 વ્યક્તિ સાજા થતાં 687 એક્ટિવ કેસ, મૃત્યુઆંક 80 થયો
સુરત. મહાનગરપાલિકા અને જિલ્લામાંથી જાહેર થતાં આંકડા અનુસાર કોરોના પોઝિટિવની સંખ્યા અનલોકમાં સૌથી વધુ વધી રહી છે. એક જ દિવસમાં 96 પોઝિટિવ કેસ આવતાં કુલ પોઝિટિવનો આંકડો 2108 થયો છે. જેમાંથી સારવાર અને ઈમ્યુનિટી શક્તિથી 1341 લોકોએ કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે. હાલ હોસ્પિટલમાં 687 એક્ટિવ કેસ છે. શહેરમાં કોરોના સામે જંગ લડતાં 80 લોકોના મૃત્યુ થઈ ચૂક્યાં છે.
સુમુલ ડેરીનો વોચમેન, સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને અમેરિકામાં દુકાન ચલાવતા અને હાલ સુરત આવેલા વ્યક્તિ સહિત શહેરમાં જ 89 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.નવી સિવિલ હોસ્પિટલના ડોકટર,સ્ટાફ નર્સ અને પટાવાળાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.આટલું જ નહીં પણ મિલેનિયમ હાઇટ્સના વોચમેન,પ્રિન્ટિંગ પ્રેસ ચલાવનાર,શાકભાજી વિક્રેતા,એલ.એન્ડ.ટી.ના મેનેજર,રિલાયન્સ જીઓમાં જોબ કરતા યુવક અને ફરસાણની દુકાનવાળાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
અત્યાર સુધીમાં અનેક પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ચુક્યો છે જોકે શુક્રવારે એક આઇપીએસનો રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસ વિભાગના કોન્સ્ટેબલથી લઈ આઇપીએસ સુધી કોરોના ફેલાયો છે એવું કહી શકાય.વેસુમાં રહેતા 2017ની બેચના એક આઇપીએસનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.સૌરાષ્ટ્રના એક જિલ્લામાં એમનું પોસ્ટિંગ હતું.20મેના રોજ તેઓ સૌરાષ્ટ્રથી સુરત આવ્યા હતા.શુક્રવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.હાલ તેઓ સિવિલ હોસ્પિટલમાં છે પણ સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળે છે.