![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/04/Rakhewal-389.jpg)
બેંકે 7 દિવસની અંદર બંધ કરવા પડશે ક્રેડિટ કાર્ડ
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરવા અને તેની કામગીરી માટે ગાઈડલાઈન બહાર પાડી છે. આ ગાઇડલાઇન મુજબ જો બેંક સાત વર્કિંગ દિવસોમાં ક્રેડિટ કાર્ડ બંધ કરવાની પ્રક્રિયા પૂરી નહીં કરે તો તેમને ખાતું બંધ થાય ત્યાં સુધી દરરોજ 500 રૂપિયાનો દંડ ભરવો પડશે. આ ગાઇડલાઇનનું નામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ- ઇશ્યૂઝ એન્ડ કંડક્ટ) દિશાનિર્દેશો, 2022નું નામ આપવામાં આવ્યું છે. આ ગાઈડલાઈન 1 જુલાઈ, 2022થી અમલમાં આવશે. આ ગાઈડલાઇનમાં ક્રેડિટ કાર્ડને લગતા નિયમો ભારતમાં કાર્યરત અનુસૂચિત બેંકો (પેમેન્ટ્સ બેંક, સ્ટેટ કો-ઓપરેટિવ બેંકો અને ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક સિવાય) અને NFBCને લાગુ પડશે.
ક્રેડિટ કાર્ડ કંપનીઓ માટેના નિયમો
- જો ક્રેડિટ કાર્ડધારકે બાકીની તમામ રકમ ચૂકવી દીધી હોય તો ક્રેડિટ કાર્ડ બંધ કરવાની વિનંતી સાત દિવસની અંદર પ્રોસેસ કરવાની રહેશે.
- કાર્ડધારકને એસએમએસ અથવા ઇ-મેઇલ દ્વારા તરત જ ક્રેડિટ કાર્ડ બંધ થવાની જાણ કરવી જોઈએ.
- કંપનીઓ કાર્ડધારકોને પોસ્ટ અથવા અન્ય માધ્યમથી ક્લોઝર વિનંતીઓ મોકલવા માટે દબાણ કરી શકશે નહીં. આ વિનંતીની પ્રાપ્તિમાં વિલંબ કરી શકે છે.
- જો કાર્ડ આપનાર કંપની કે બેંક સાત વર્કિંગ દિવસોમાં ક્રેડિટ કાર્ડ બંધ કરવાની પ્રક્રિયા પૂરી નહીં કરે તો તેમને એકાઉન્ટ બંધ ના થાય ત્યાં સુધી દરરોજ 500 રૂપિયાનો દંડ ભરવો પડશે.
આ નિયમો પણ જાણી લો
- જો ક્રેડિટકાર્ડનો ઉપયોગ એક વર્ષથી વધુ સમય સુધી ના થાય તો બેંક કાર્ડધારકને જાણ કર્યા બાદ ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે.
- જો કાર્ડધારક 30 દિવસની અંદર કોઈ જવાબ ના આપે અને જો તમામ બિલ ક્લિયર થઈ જાય તો કાર્ડ ઇસ્યુ કરનાર કાર્ડ બંધ કરી શકે છે.
- કાર્ડ ઇસ્યુ કરનારે કાર્ડ બંધ કર્યાના ૩૦ દિવસની અંદર ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીને આપવાની રહેશે.
- ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ બંધ કરતી વખતે જો ક્રેડિટ કાર્ડ એકાઉન્ટમાં થોડું ક્રેડિટ બેલેન્સ હોય તો તેને કાર્ડ હોલ્ડરના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવું પડે છે.