![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/05/AMADAVAD-CORONA-TESTING.jpg)
વડોદરામાં કોરોનાથી ૨ દર્દીના મોત, કેસની કુલ સંખ્યા ૧૧૯૧ થઇ, સાવલીના મીઠાપુરમાં કેસ નોંધાતા
વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં કોરોના વાઈરસથી વધુ ૨ દર્દીના મોત થયું છે. વડોદરાના કોયલી ફળીયામાં રહેતા ૭૦ વર્ષીય રામજીભાઇ ચતુર્વેદીનું મોત થતાં થયું છે. જ્યારે વાડી દાલીયાપોળમાં રહેતા ૭૦ વર્ષીય શંકરલાલ ભીખાભાઇ પટેલનું કોરોનાથી મોત થયું છે. ફાયર બ્રિગેડની ટીમે ખાસવાડી સ્મશાન ખાતે બંનેના અંતિમ સંસ્કાર કર્યાં હતા.
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના કેસની કુલ સંખ્યા ૧૧૯૧ ઉપર પહોંચી ગઇ છે. જોકે સત્તાવાર મૃત્યુઆંક ૪૫ થયો છે. અત્યાર સુધી સાજા થયેલા દર્દીઓનો આંક ૭૨૦ ઉપર પહોંચી ગયો છે. અત્યારે ૪૨૬ દર્દી સારવાર હેઠળ છે. જે પૈકી ૩૯ ઓક્સિજન ઉપર અને ૨૨ વેન્ટીલેટર પર છે. જ્યારે ૩૬૫ દર્દી સ્ટેબલ છે.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મીઠાપુર ગામમાં કોરોના પોઝિટિવ કેસો નોંધાતા વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરની સૂચનાથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે તકેદારીના ભાગરૂપે ગામના કેટલાક વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરી વિવિધ નિયંત્રણો અમલમાં મૂક્યા છે. સાવલી તાલુકાના મીઠાપુર ગામની આંગણવાડી પાછળના વિસ્તારના ૬ ઘરો અને ૨૪ લોકોની વસ્તીને કન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવી છે. તે જ પ્રમાણે મીઠાપુર ગામના ૪૨ ઘરોની ૨૩૫ની વસ્તીને બફર ઝોનમાં મૂકવામાં આવી છે.
કોરોના પોઝિટિવ કેસોને અનુલક્ષીને વડોદરા તાલુકાના રતનપુર અને ઊંડેરાના કેટલાક વિસ્તારોને અગાઉ કન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા હતા. પરંતુ, આરોગ્ય તંત્રના સર્વેક્ષણમાં છેલ્લા ૧૪ દિવસથી અહીં કોઇ નવો કેસ નોંધાયો ન હોવાથી વડોદરા જિલ્લા આરોગ્ય અધિકારીએ આ ગામોના સંબંધિત વિસ્તારોને કન્ટેઈનમેન્ટ મુક્ત વિસ્તાર જાહેર કરવા ભલામણ કરી છે.