![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/06/Untitled-17.jpg)
હાથણીના મોત પર ગુસ્સો : ભારતીય સંસ્કૃતિ આવી નથી; આરોપીઓને સજા આપીશું
કેરળના મલપ્પુરમાં ગર્ભવતી હાથણીના મોતની ઘટના અંગે રાજકારણથી માંડી ઉદ્યોગ અને રમત ગમત જગતના લોકો પણ રોષે ભરાયા છે. કેન્દ્રીય વન તથા પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, આ ક્રુરતા છે, ભારતીય સંસ્કૃતિમાં આવું ન થઈ શકે. આરોપીઓને પકડવા માટે અમે સીનિયર અધિકારીઓને તહેનાત કર્યા છે. આરોપીઓને સજા આપવામાં આવશે.
મલપ્પુરમમાં ગર્ભવતી હાથણીને કોઈ વિકૃતે ફટાકડા ભરેલું અનાનસ ખવડાવી દીધું હતું.જેનાથી હાથણનું મોં ફાટી ગયું અને તેનું મોત થઈ ગયું હતું. આ મામલાએ જોર પકડ્યું તો કેરળ પોલીસે બુધવારે અજાણ્યો લોકો વિરુદ્ધ એફઆરઆઈ કરાવી દીધી હતી. ભાજપ સાંસદ મેનકા ગાંધીએ કહ્યું કે, હાથણીની હત્યા કરવામાં આવી છે,કેરળમાં દર ત્રણમાંથી એક હાથીનું મોત થાય છે.
દેશના વેપારી જગતમાં સૌથી વરિષ્ઠ રતન ટાટાએ ટ્વીટ કરીને હાથણી સાથે થયેલી ક્રુરતાને હત્યા જાહેર કરી દીધી. સાથે જ ન્યાયની માંગ પણ કરી હતી. તેમણે લખ્યું કે, મને જ્યારે ખબર પડી કે અમુક લોકોએ ફટાકડા ભરેલું અનાનસ ખવડાવી દેતા આ હાથણનું મોત થયું છે તો એકદમ ચોંકી ગયો હતો. નિર્દોષ પ્રાણીઓ પ્રત્યે ગુનાહિત વલણ એકદમ એવું જ છે, જાણે કોઈ વ્યક્તિની ઈરાદાપૂર્વક હત્યા કરી દેવી.