પંજાબમાં AAPને જીતાડનાર ડૉ. સંદીપ પાઠકને હવે ગુજરાતના પ્રભારી બનાવાયા
દિલ્હી પછી પંજાબમાં સરકાર બનાવ્યા પછી હવે આમ આદમી પાર્ટી અન્ય રાજ્યોમાં પગપેસારો કરવાની તૈયારી કરી રહી છે. તે માટે 9 રાજ્યોમાં AAP સંગઠન મજબૂત કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. હવે 9 રાજ્યોમાં લોકોને અલગ અલગ જવાબદારી આપવામાં આવી છે. AAP હવે આસામથી લઈને તેલંગાણા સુધી ચૂંટણી લડવા તૈયાર થઈ ગઈ છે. ગુજરાતની જવાબદારી સંદીપ પાઠકને આપવામાં આવી છે. ડૉ. સંદીપ પાઠકને ગુજરાતના પ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્યારે ઈલેક્શન ઈન્ચાર્જની જવાબદારી ગુલાબ સિંહને આપવામાં આવી છે. નોંધનીય છે કે, ડૉ. સંદીપ પાઠકને પાર્ટી પંજાબથી રાજ્યસભા પણ મોકલી રહી છે.
પાઠકે તેમનું પીએચડી 2011માં કેમ્બ્રિજ યુનિવર્સિટીથી કર્યું છે. તેઓ ઘણાં વર્ષોથી પડદા પાછળની ભૂમિકા નીભાવતા હતા અને પંજાબમાં પંજાબમાં તેમણે જ સંગઠન કેડર બનાવી હતી. રાજ્યમાં સર્વે, ઉમેદવારોની પસંદગી અને પંજાબમાં શાનદાર જીતની રણનીતિનો શ્રેય સંદીપ પાઠકને જ આપવામાં આવે છે.