આંબલિયાસણના યુવકની લાશ નર્મદા કેનાલમાથી મળી આવતા ચકચાર
આંબલિયાસણ ગામના યુવકની લાશ જોટાણા તાલુકાના ધાંધલપુર ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાથી મળી આવતા કડી પોલીસે લાશનુ પી.એમ કરવા સહીતની તજવીજ હાથ ધરી છે. આંબલિયાસણ ગામનો કુરેશી સલીમ છોટેમીયા ડ્રાઈવીંગનો વ્યવસાય કરી પરિવારનુ ગુજરાન ચલાવતો હતો. ત્રણ દિવસ અગાઉ અગમ્ય કારણોસર નર્મદા કેનાલમા ઝંપલાવી આપઘાત કરી લેતા ગામમા ચકચાર મચી હતી. પરિવારે નર્મદા કેનાલમા તેની શોધખોળ આદરી હતી.
ત્રીજા દિવસે રવિવારે સાંજે જોટાણા તાલુકાના ધાંધલપુર ગામની સીમમાથી પસાર થતી નર્મદા કેનાલમાથી યુવકની લાશ મળી આવી હતી. મૃતક યુવકના ભાઈ કુરેશી મયુદ્દીન છોટેમીયાએ કડી પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર દોડી આવી લાશને કડી સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડી આગળની તજવીજ હાથ ધરી હતી. આ અંગે બીટ જમાદાર નરેશકુમારે આંબલિયાસણના યુવક સલીમ છોટેમીયા કુરેશીની લાશ મળી આવેલ છે. જે અંગેની કડી પોલીસ મથકે મૃતકના ભાઈ મયુદ્દીને જાણ કરતા આગળની કાર્યવાહી હાથ ધરી છે