પાલનપુર ખાતે પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ મેળો યોજાયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ ખાતેથી ગરીબ કલ્યાણ મેળાના 12 તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. જેના અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર માર્કેટયાર્ડ ખાતે અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને તથા શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જેમાં 5370 લાભાર્થીઓને સાધન સહાય અને યોજનાકીય લાભો આપવામાં આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે લાભાર્થીઓને સંબોધતા જણાવ્યું હતુ કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબોને તેમના હકના લાભો હાથોહાથ આપવામાં માટે ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરાવી હતી. ગરીબોના હકનું તેમને આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગુરૂવારે દાહોદથી સમગ્ર રાજ્યમાં 12મા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવ્યો છે. જેમાં તંત્ર દ્વારા ગરીબોને સામેથી બોલાવી જાહેરમાં લાભો આપવામાં આવે છે જેના લીધે વચેટીયા પ્રથા નાબૂદ થઇ છે.