ગતિશીલ ગુજરાત ! ૧૩૦ ગ્રામ સચિવાલય જર્જરિત હાલતમાં
(રખેવાળ ન્યૂઝ)પાલનપુર,
બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં જ ગ્રામ પંચાયતોની ચૂંટણી સંપન્ન થતા નવા સરપંચો પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. જેમાં કેટલાક ગામો નો વિકાસ થયો છે. ત્યારે કેટલાક ગ્રામ પંચાયતોના મકાન (ગ્રામ સચિવાલય) ખંડેર હાલતમાં જાેવા મળી રહ્યા છે. જેમાં છેલ્લા ૩૦ થી ૩૫ વર્ષ પહેલા બનાવેલી ગ્રામ પંચાયતોના મકાન જર્જરિત હાલતમાં છે. જેમાં વડગામ તાલુકામા ૧૦ અને જિલ્લામાં ૧૩૦ જેટલી પંચાયતો જર્જરિત હાલતમાં હોવાનું બહાર આવ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં વિકાસની વાતો અને ગતિશીલ ગુજરાતની ગુલબાંગો વચ્ચે અનેક ગ્રામ પંચાયતો જર્જરિત હાલતમાં છે. ગ્રામ પંચાયતમાં ગામના વિકાસ માટે લાખો કરોડોની ગ્રાન્ટ તો આવે છે. પરંતુ ગામ નો વહીવટ કરતી ગ્રામ પંચાયતોના જર્જરિત હાલતમાં ઉભેલા મકાનોની દરકાર લેવાતી નથી. જિલ્લામાં છેલ્લા ૩૦-૩૫ વર્ષ ગ્રામ પંચાયતોના મકાનોનું બાંધકામ થયુ હતું. જે સમય વિતતા હાલ જર્જરીત બન્યા છે. જેમાં કેટલીક જર્જરિત ગ્રામ પંચાયતોના મકાનો તો પડવાના વાંકે ઉભા છે. જે ખંડેર ગ્રામ ગ્રામ પંચાયતના મકાનોમાં સત્તાધીશોને ગામનો વહીવટી ચલાવવાની નોબત આવી છે.
જેમાં વાત કરવામાં આવે તો વડગામ તાલુકાના ટીંબાચુડી ગામની તો આ ગ્રામ પંચાયતના મકાનના નવીનીકરણ માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. પરંતુ મંજૂરી ન મળતા ચોમાસામાં મકાનની છત પરથી પાણી ટપકવાને લઈ ગ્રામ પંચાયતનું રેકર્ડ પણ પલડી જાય છે. જાેકે, જિલ્લામાં ૧૩૦ જેટલી ગ્રામ પંચાયતો જર્જરિત હાલતમાં હોઈ સરકાર દ્રારા આ મકાનોના નવીનીકરણ હાથ ધરવામાં આવે તેવી સરપંચો માંગ કરી રહ્યા છે.
જર્જરિત ગ્રામ પંચાયતોનું ટૂંક સમયમાં નવીનીકરણ કરાશે
બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, જિલ્લાની ૧૩૦ ગ્રામ પંચાયતો જર્જરિત હાલતમાં છે. જે મકાનો નું ટૂંક સમયમાં નવીનીકરણ કરવામાં આવશે. જેમાં નરેગા યોજનામાં પણ પંચાયતો બનાવવાની યોજના બનાવી છે. અને ૭૩ પંચાયતોના જે મકાન છે તે ઝડપથી બનાવવામાં આવશે.
ટીંબાચુડીમાં રેકર્ડ પણ પલડી જતું હોવાની રાવ પણ ઉઠી
વડગામ તાલુકાના ટીંબાચુડી ગામના સરપંચ ભેમજી ભાઈએ જણાવ્યું હતું કે અમારા ગામની ગ્રામ પંચાયત વર્ષો જૂની હોઈ તેમાં બેસવાની પૂરતી વ્યવસ્થા ન હોઈ અરજદારો ને પણ તકલીફ પડી રહી છે. નવીન પંચાયત માટે દરખાસ્ત કરેલી છે. પરંતુ મંજૂરી ન મળતા ચોમાસામા પંચાયત ઘરની છત પર થી પાણી ટપકતા રેકર્ડ પણ પલળી જાય છે.