રક્ષામંત્રી રાજનાથ સિંહને કોરોના થયો
રક્ષા મંત્રી રાજનાથ સિંહને કોરોના થયો છે. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે હું આજે કોરોના પોઝિટિવ આવ્યો છું. મને હળવા લક્ષણો છે. હું ઘરમાં ક્વોરન્ટિન છું. મારા સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિ પોતાનો ટેસ્ટ કરાવે. દિલ્હીમાં હવે પોલીસ વિભાગમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. રવિવારે સાંજે આવેલા રિપોર્ટ પ્રમાણે દિલ્હી પોલીસના લગભગ 1000 કર્મચારીઓ ત્રીજી લહેરમાં સંક્રમિત થયા છે. દિલ્હી પોલીસે એક નિવેદનમાં આ માહિતી આપી છે.
દિલ્હી પોલીસના એક ઓફિશિયલ નિવેદન પ્રમાણે, આ સંક્રમિતોમાં દિલ્હી પોલીસના જન સંપર્ક અધિકારી અને એડિશનલ પોલિસ અધિકારી ચિન્મય બિસ્વાલ પણ સામેલ છે. દેશમાં કોરોના મહામારીના ત્રીજી લહેરમાં સતત ચોથા દિવસે દૈનિક 1 લાખથી વધુ કેસ નોંધાયા છે. દરરોજ નવા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્રીજી લહેરમાં પ્રથમ વખત નવા કેસનો આંક 1.79 લાખને પાર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1 લાખ 79 હજાર 723 નવા કેસ નોંધાયા છે અને 146 લોકોના મોત થયા છે. 46,441 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે દેશ માં ઓમિક્રોનનાં કુલ કેસનો આંક 4,033 થયો છે.