ગુજરાતમાં રાતના 11થી 5 સુધીનો કર્ફ્યૂ 7 જાન્યુઆરી સુધી યથાવત
હાલ દેશ અને દુનિયામાં કોરોનાના લાખો કેસો આવી રહ્યા છે, જેને પગલે મહારાષ્ટ્ર અને દિલ્હીની સરકારોએ પણ નિયંત્રણો લાદી દીધાં છે. જોકે ગુજરાત સરકાર હજુ આ મામલે જાગી નથી, પરંતુ 29મી ડિસેમ્બરે કોરોના વિસ્ફોટ થતાં જ સરકાર દોડતી થઈ છે. આવતીકાલે એટલે કે 31મી ડિસેમ્બરે કોરોનાની ગાઇડલાઇન્સ પૂરી થઈ રહી છે. આજે આરોગ્ય મંત્રીએ રાજ્યના 8 શહેરોમાં રાતના 11થી સવારના 5 વાગ્યાનો રાત્રિ કર્ફ્યૂ 7 જાન્યુઆરી સુધી યથાવત રાખવાની જાહેરાત કરી છે.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસો અંગે તૈયારીઓને લઈ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં હાલ 1 લાખ 10 હજાર બેડ ઉપલબ્ધ છે. જ્યારે 15000 ICU બેડમાંથી 7800 બેડમાં વેન્ટીલેટર ઉપલબ્ધ છે. 500થી 1500 બેડની હોસ્પિટલ ઉભી કરવાની તૈયારી ઓમિક્રોનના 97માંથ 41ને રજા આપી દેવામાં આવી છે. ગુજરાતમાં 0.79 ટકા પોઝિટિવિટી રેટ છે, જે અન્ય રાજ્યોની તુલનાએ ઘણો ઓછો છે, જ્યારે 90 લાખ લોકોનું વેક્સિનેશન બાકી છે.
આ નિયંત્રણો યથાવત રહેશે
- 8 મનપામાં રાત્રિ કર્ફ્યુ રહેશે
- રાત્રીના 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યું
- 8 મહાનગરોમાં 11 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલ્લી રહેશે
- લારી-ગલ્લા, સલૂન, શોપિંગ કોમ્પલેક્ષ વગેરે પણ 11 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે
- કર્ફ્યુ બાબતે રાજ્ય સરકારે નોટિફેકશન જાહેર કર્યું