પાલનપુરમાં ભર ઉનાળે પાણીની મોકાણથી શહેરીજનો ત્રસ્ત
રખેવાળ ન્યુઝ પાલનપુર
પાલનપુરમાં ભર ઉનાળે છેલ્લા બે દિવસથી પાણીની મોકાણ સર્જાતા લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. નગરપાલિકા દ્વારા પાણીની કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતાં લોકો નાછૂટકે રૂપિયા ૩૦૦થી ૫૦૦ સુધી ચૂકવી ટેન્કર દ્વારા પાણી મેળવી રહ્યા છે.
પાલનપુરમાં નગરપાલિકા હદ વિસ્તારમાં પાલિકા દ્વારા ધરોઈ જૂથ યોજના તેમજ સ્થાનિક બોર દ્વારા નગરજનોને પીવાનું પાણી પુરુ પાડવામાં આવી રહ્યું છે. જોકે, ધરોઈ ખાતે જ્યારે પણ કોઈ સમસ્યા સર્જાય ત્યારે શહેરીજનોને પીવાના પાણી માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. જ્યાં ભર ઉનાળે છેલ્લા બે દિવસથી પાણીની મોકાણ સર્જાતા લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે.
આ અંગે સામાજિક કાર્યકર મજહરભાઈ કુરેશીએ જણાવ્યું હતું કર, નગરપાલિકાના સત્તાધીશો દ્વારા પાણીની કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતાં લોકો નાછૂટકે રૂપિયા ૩૦૦થી ૫૦૦ સુધી ચૂકવી ટેન્કર દ્વારા પાણી મેળવી રહ્યા છે. અત્યારે રમજાનમાસ ચાલી રહ્યો છે. મુસ્લિમ બિરાદરોના રોજા ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં શહેરના મફતપુરા સહિતના વિસ્તારોમાં પીવાનું પાણી આપવામાં આવતું નથી. પરિણામે લોકો નગરપાલિકામાં પાણી વેરો ભરતા હોવા છતાં નાણાં ખર્ચીને ખાનગી ટેન્કરો મંગાવવા પડી રહ્યા છે. ટેન્કરના ઓર્ડરો પણ બે બે દિવસથી પેન્ડિંગ રહે છે. જેમને હાલ બખ્ખા થયા છે. લોકોમાં નગરપાલિકા સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.